કોરોના મહામારીના કારણે હાલ કોલેજો શરૂ કરવામાં આવી નથી. કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને રાજયની જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી સરકારી, ગ્રાન્ટેડ કોલેજોમાં ઓનલાઈન એજયુકેશન આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે.
રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-3માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. યુનિવર્સિટીના પ્રોફેસરોના કહ્યા પ્રમાણે, રાજયની ટેકનીકલ યુનિવર્સિટીને બાદ કરીએ તો બાકીની તમામ યુનિ.ઓ સાથે જોડાયેલી કોલેજોમાં અંદાજે ચારથી પાંચ લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ સ્થિતિમાં ઓનલાઈન એજયુકેશન લઈ રહેલા વિદ્યાર્થીઓના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે 82,197 વિદ્યાર્થીએ ઓનલાઈન કલાસમાં અભ્યાસ કરવા માટે રસ દાખવ્યો છે.આ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો માત્ર 20 ટકા વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન એજયુકેશનમાં રસ દાખવ્યો નથી તેવુ પ્રતિત થાય છે.
ફક્ત 20 ટકા વિદ્યાર્થીઓને જ છે ઓનલાઈન એજ્યુકેશનમાં રસ
શિક્ષણ વિભાગના જુદા-જુદા વિભાગો દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે રાજ્યની 89 સરકારી કોલેજોમાં કોલેજમાં 1500 કલાસ લેવાયા, જેમાં 899 ફેકલ્ટીએ 18,725 વિદ્યાર્થીને ઓનલાઈન એજયુકેશન આપ્યું હતું. આજ રીતે ગ્રાન્ટેડ 196 કોલેજમાં 3585 કલાસમાં 2134 ફેકલ્ટીએ 62,472 વિદ્યાર્થીઓને એજયુકેશન આપ્યું છે. કુલ 285 કોલેજમાં 5085 કલાસમાં 3033 ફેકલ્ટીએ ફક્ત 82197 વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવ્યું છે. બાકીના લાખો વિદ્યાર્થીઓ ઓનલાઈન જ થયા નથી આ પ્રમાણે ગણતરી કરીએ તો 80 ટકા વિદ્યાર્થીઓ એવા છે કે, જેઓએ ઓનલાઈન એજયુકેશનમાં રસ દાખવ્યો નથી.
આર્ટસ અને કોર્મસના વિદ્યાર્થીઓ ઓનલાઈન થતા નથી : પ્રોફેસરો
પ્રોફેસરોના કહેવા પ્રમાણે ખાસ કરીને આર્ટસ અને કોમર્સમાં વિદ્યાર્થીઓ ઓનલાઈન થતા જ નથી. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન થાય છે તે પૂરા લેકચર્સ ભરતા નથી. કોમર્સમાં સ્ટેટ અને એકાઉન્ટ જેવા વિષયોમાં ગણતરીના 10 કે 15 વિદ્યાર્થી જ ઓનલાઈન થતા હોય છે. આમ, ઓન લાઈન એજયુકેશન માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉદાસીન છે, તે આંકડાકીય વિગતો સાથે સ્પષ્ટ થાય છે. આગામી દિવસોમાં પણ કોલેજો શરૂ થશે કે નહીં તે નકકી નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીએ હજુ પણ ઓનલાઈન એજયુકેશન પર જ આધાર રાખવો પડશે.