સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા બાળકોના હિતને ધ્યાનમાં રાખીને ફરી એક વખત ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારથી ગુજરાતની 16 હજાર પ્રાઈવેટ શાળાઓમાં ફરીથી ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવશે. સરકાર સાથેની લડાઈમાં અંતે સંચાલકોએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા ફરી એક વખત તેમને શિક્ષણ સાથે જોડી રાખવાનો નિર્ણય લીધો છે. વાલીઓના ફોન કોલ્સ અને ઓનલાઈન શિક્ષણ શરૂ રાખવાની રજૂઆતોના અંતે ચર્ચા વિચારણા કરીને નાના બાળકો શિક્ષણથી વિમુખ ન થાય અને તેમનું ભવિષ્ય જોખમાય નહીં તે હેતુથી સોમવારથી ફરીથી શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે 16 જૂલાઈના રોજ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરીને વાલીઓ પાસે કોઈ પણ પ્રકારની ફી ન ઉધરાવવાનો આદેશ બહાર પડાતા સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા બીજા દિવસથી જ ઓનલાઈન એજ્યુક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતું બાળકોના ભવિષ્યની ચિંતા કરતા વાલીઓએ શાળા સંચાલકોને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવા અંગેની લાગણીસભર રજૂઆત કરતા અંતે રાજ્યના 16 હજારથી વધારે શાળા સંચાલકોએ સરકારનો 16 જૂલાઈનો પરિપત્ર રદ્દ કરવા અને ઓનલાઈન એજ્યુકેશનફરી એક વખત શરૂ કરવા માટે પિટીશન દાખલ કરી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યોએ સરકારના પરિપત્ર સામે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે શાળાઓમાં ભલે ઓનલાઈન એજ્યુકેશન શરૂ થઈ જાય પણ સરકાર સામે તેમનો વિરોધ શરૂ રહેશે. વાલીમંડળની પ્રબળ રજૂઆત, ફોર કોલ્સ, મેસેજ અને ઓનલાઈન એજ્યુકેશન ફરી કરવાની તીવ્ર માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજ્યની 16000 શાળાઓમાં ફરીથી ઓનલાઈન અજ્યુકેશન શરૂ કરવામાં આવશે.