પેપર લીક કૌભાંડના મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા મોટાપાયે હોબાળો કરવામાં આવ્યો. કૌભાંડ અંગે પોલીસ તપાસ કરવામાં આવી અને ત્યાર બાદ પોલીસે ધપરકડનો દોર ચલાવ્યો.સંખ્યાબંધ કૌભાંડીઓની ધરપકડ કરવામાં આવી.
આમ આદમી પાર્ટી દ્વારા સતતને સતત અસિત વોરાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી હતી અને અસિત વોરાના રાજીનામાની માંગ સાથે જ આપ દ્વારા ગાંધીનગર ખાતે આવેલા ભાજપ કાર્યાલય કમલમને ઘેરવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન ધમાચકડી થતાં આપના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામ સહિતના નેતાઓની સાથે કાર્યકરોને 12 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. ઈસુદાન ગઢવી પર દારુ પીવાનો આરોપ મૂકવામાં આવ્યો. ઈસુદાને ભારપૂર્વક આ આરોપોનો ઈન્કાર કર્યો. દારુ પીવાનો કેસ થયો, ઈસુદાન પોલીસમાં હાજર થયા અને આ કેસમાં પણ હાલ જામીન છે.
હવે મૂળ મુદ્દાની વાત કરીએ તો પેપર લીક કૌભાંડની આખીય ઘટના દારુ આપના નેતાઓનાં દેખાવો પર આવીને અટકી ગઈ હતી. મીડિયામાં એ વાતની વધારે ચર્ચા થઈ કે આપના નેતાઓ અને કાર્યકરોએ કમલમ પર દેખાવો કર્યા તે કેટલા અંશે વ્યાજબી છે? ભૂતકાળની વાત કરીએ તો જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતો ત્યારે કોંગ્રેસના કાર્યલયોને ભાજપ દ્વારા તાળા પણ મારી દેવાની અનેક ઘટનાઓ બની હતી. મહેશ સવાણીએ આમરણ ઉપવાસ કર્યા અને તબિયત બગડતા ઉપવાસ સંકલી લીધા હતા.
અસિત વારો અને પેપર લીક કૌભાંડ અંગે જેલમાંથી બહાર નીકળ્યા બાદ આપના તમામ નેતાઓએ કહ્યું હતું કે સાબરમતિ જેલના દરવાજા ખૂલ્લા રાખજો, અમે પાછા આવીશું. આપનાં નેતાઓનો દેકારો હાલ સ્થગિત થઈ ગયો હોય એમ લાગે છે અથવા તો પેપર લીકમાં આંદોલનનાં બણગાં ફૂંકનારા આપનાં નેતાઓ આંદોલન અને પ્રદર્શન કરીને થાકી ગયા છે કે શું? એવો પણ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. અત્યારો પેપરલીકનું આપનું આંદોલન અભરાઈએ ચઢી ગયું હોવાની છાપ ઉપસી રહી છે.
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ મીડિયાને કહ્યું છે કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે અને લોકોમાં કોરોના અંગે જાગૃતિ લાવવા માટે સક્રીય રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જામીન મળ્યા બાદ કાયદાકીય પ્રક્રિયા હજુ પણ ચાલી રહી હોવાથી આંદોલન આવનાર દિવસોમાં નક્કી કરવામાં આવશે.