પાટણઃ પાટણ જીલ્લામાં બનેવીના હાથે સાળાની હત્યા થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પાટણ તાલુકાના ભૂતિયાવાસણા ગામે રિસાઈને પિયરમાં રહેતી પત્નીને તેડવા ગયેલા માડોત્રી ગામના મહિલાના પતિએ ઉશ્કેરાઈ જઈને તેના સાળા ને છાતીમાં છરીનો ઘા મારતા ગંભીર હાલતમાં ધારપુર અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકની બહેને તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે પાટણ તાલુકાના ભૂતિયાવાસણા ગામના મનજી શંકરજી પરમારની દીકરી ભાવનાબેનના લગ્ન પાટણ તાલુકાના માંડોત્રી ગામે પરમાર ચંદ્રકાંત મઘાભાઈ સાથે 25 વર્ષ અગાઉ થયા હતા જેમાં તેમને 13 અને 17 વર્ષના બે દીકરા અને 21 વર્ષની એક દીકરી સંતાનમાં છે. પરંતુ પતિ અવારનવાર મારઝૂડ કરી મારે તને રાખવી નથી તેમ કહી ત્રાસ આપતો હોવાથી ભાવનાબેન છેલ્લા એક વર્ષથી તેમના ત્રણેય સંતાનો સાથે પિયર માં રહેતા હતા.
દસેક દિવસ અગાઉ ચંદ્રકાંત પત્નીને તેડવા માટે સાસરે જતાં તેમના ગામના પાંચ માણસોને લઈને આવવા સાસરી પક્ષે કહ્યું હતું. આ પછી 21 એપ્રિલના રોજ સાંજના ચાર વાગ્યાના સુમારે ચંદ્રકાંત બાઇક લઇને ભાવનાબેનના પિતાના ખેતર ઉપર પહોંચ્યો હતો અને ભાવનાબેનના માતા પિતા સાથે ઝઘડો કરી રહ્યો હતો ત્યારે ભાવનાબેન અને તેમનો ભાઈ પ્રવીણ પણ ત્યાં ગયા હતા અને પ્રવીણે તમારા કુટુંબના માણસોને લઈને આવો,આજે અમે બેનને મોકલવાના નથી તેમ જણાવતા ચંદ્રકાંતે ઉશ્કેરાઇને તેની પાસેની છરી પ્રવીણને છાતીમાં ઘૂસાડી દીધી હતી અને બાઈક લઈને છૂમંતર થઈ ગયો હતો.
પ્રવીણને ગંભીર ઈજા થતાં ભાવનાબેન અને તેમના સંબંધીઓ 108 માં ધારપુર હોસ્પિટલ લઇ ગયા હતા જયા પ્રાથમિક સારવાર આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં દાખલ કરી સારવાર હાથ ધરાઈ હતી પરંતુ સવારે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ભાવનાબેને તેના પતિ સામે ભાઈની હત્યાનો ગુનો દાખલ કરાવતાં પાટણ તાલુકા પી.આઈ ગીતાબેન પઠાણ તપાસ ચલાવી રહ્યા છે.