રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરા જેવા શહેરોમાં કોરોનાની સ્થિતી ધીરે-ધીરે કાબુમાં આવી રહી છે. હજુ પણ રાજ્યમાં દરરોજ 1100થી વધુ કેસ તેમજ 20થી વધુના મોત થાય છે. ત્યારે કોરોના કાળ દરમિયાન આ વર્ષે સ્વાઈન ફ્લૂથી રાજ્યને રાહત મળી છે. અન્ય વર્ષની સરખામણીમાં 2020માં ગુજરાતમાં ના બરાબર કેસ તેમજ મોત નોંધાયા છે. ગત વર્ષે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કુલ 4844 કેસ નોંધાયા હતા અને 151 દર્દીના મોત નિપજ્યાં હતા. ત્યારે આ વર્ષે માત્ર 55 કેસ અને બે લોકોના સ્વાઈન ફ્લૂના કારણે મોત થયા છે.
મહત્વનું એ છે કે, કેન્દ્ર સરકારે સ્વાઈન ફ્લૂના 1 જાન્યુઆરીથી 31 જુલાઈ સુધીના આંકડા જાહેર કર્યા હતા. જેમા 2020માં દેશભરમાં માત્ર 2721 કેસ અને 44 લોકોના મોત નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં માત્ર સ્વાઈન ફ્લૂના માત્ર 55 કેસ તેમજ બે લોકોના મોત નોંધાયા છે. આપણે જણાવી દઈએ કે, 2020માં લોકોને સ્વાઈન ફ્લૂની બીમારીથી રાહત મળી છે. સરકારના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછા કેસ આ વર્ષે નોંધાયા છે.
આ બીમારી કઈ રીતે ફેલાય છે, તેના વિષે વાત કરીએ તો જ્યારે ખાંસી આવે અથવા છીંક આવે તો હવામાં અથવા જમીન પર કે જ્યાં પણ થૂક અથવા મોં અને નાકમાંથી નિકળતું દ્રવ કણ પડે છે, તે વાયરસની ચપેટમાં આવી જાય છે. આ કણ હવા દ્વારા અથવા કોઈને અડવાથી અન્ય વ્યક્તિના શરીરમાં મોં અથવા નાક દ્વારા પ્રવેશે છે.