ગુજરાતમાં 21 રેલવે મથકોનું નવીનીકરણ થશે. એક સ્ટેશન માટે રૂ.50 કરોડનું સરેરાશ ખર્ચ થશે. તે હિસાબે ગુજરાતને 1100 કરોડ મળવા જોઈતા હતા. પણ એટલાં નહીં મળે. ગુજરાતમાં 457 રેલવે સ્ટેશન છે. જેમાંથી માંડ 5 ટકા રેલ મથકો સારા બનાવાશે. બાકીના 435 સ્ટેશનો અંગે કંઈ કરવામાં નહીં આવે. આમ ગુજરાતને નરેન્દ્ર મોદી સરકાર અન્યાય કરી રહી છે. મોદીએ 10 વર્ષમાં ગુજરાતને રેલવે માટે ભારે મોટા અન્યાય કર્યા છે તેથી પ્રજા આ લોકસભામાં તેનો હિસાબ માંગે તો ના નહીં. કારણ કે પ્રજાને ફાયદો થાય એવી રેલવે ગુજરાતને મળી નથી. બુલેટ ટ્રેન મળી છે તે પ્લેનમાં જનારા મુસાફરો માટે બની છે. તેના 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાના સ્ટેશનો અને લાઈનો બની છે. પણ સામાન્ય પ્રજાને ફાયદો થાય એવી ટ્રેન કે સ્ટેશનો નવા બનાવાયા નથી. ગરીબો માટે તો નહીં જ.
દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે રૂ. 24,470 કરોડમાં 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થશે. જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.
1300 રેલવે સ્ટેશનોમાંથી 508 અમૃત ભારત સ્ટેશનો માટે ખર્ચ રૂ. 25,000 કરોડ થશે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55 અમૃત સ્ટેશનો અંદાજે રૂ. 4,000-રૂ.4,000 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે, મધ્યપ્રદેશમાં 34 સ્ટેશનો અંદાજે રૂ. 1,000 કરોડનાં, મહારાષ્ટ્રમાં 44 સ્ટેશનો રૂ. 1,500 કરોડનાં ખર્ચે વિકસાવવામાં આવશે. તેમજ તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં મુખ્ય રેલવે સ્ટેશનોનું પણ નવીનીકરણ થશે. ગુજરાતમાં 700 કરોડ ખર્ચ થશે.
અમૃત સ્ટેશનો ભારતનાં સાંસ્કૃતિક અને સ્થાનિક વારસાની ઝાંખી રજૂ કરશે. જયપુરનું રેલવે સ્ટેશન રાજસ્થાનમાંથી હવામહલ અને આમેર કિલ્લાની ઝાંખી રજૂ કરશે, તો જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ તાવી રેલવે સ્ટેશન પ્રસિદ્ધ રઘુનાથ મંદિર દ્વારા પ્રેરિત હશે તથા નાગાલેન્ડમાં દિમાપુર સ્ટેશન આ વિસ્તારમાંથી 16 અલગ-અલગ જનજાતિઓનાં સ્થાનિક સ્થાપત્યને પ્રસ્તુત કરશે. દરેક રેલવે સ્ટેશન એનાં પ્રાચીન વારસા સાથે દેશની આધુનિક આકાંક્ષાઓનું પ્રતીક બનશે. પ્રધાનમંત્રીએ ‘ભારત ગૌરવ યાત્રા ટ્રેનો’ને મજબૂત કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જે ઐતિહાસિક પ્રસ્તુતતા અને યાત્રાધામોને જોડે છે.
ચાલુ વર્ષે રેલવેને રૂ. 2.5 લાખ કરોડ બજેટ મળ્યું છે. વર્ષ 2014ની સરખામણીમાં પાંચ ગણો વધારો થયો છે. છેલ્લાં 9 વર્ષમાં લોકોમોટિવ ઉત્પાદનમાં નવ ગણો વધારો થયો છે. અત્યારે HLB કોચનું 13 ગણું વધારે ઉત્પાદન થઈ રહ્યું છે.
નાગાલેન્ડને 100 વર્ષ પછી બીજું સ્ટેશન મળ્યું હતું. નવ વર્ષમાં 2200 કિલોમીટરથી વધારે લંબાઈ ધરાવતા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ થયું છે, જેનાંથી ચીજવસ્તુઓનું વહન કરતી ટ્રેનના પ્રવાસનાં સમયમાં ઘટાડો થયો છે.
અત્યારે દિલ્હી એનસીઆરમાંથી પશ્ચિમ ભારતનાં બંદરો પર ચીજવસ્તુઓ 24 કલાકમાં પહોંચી જાય છે, જેમાં અગાઉ સામાન્ય રીતે 72 કલાક લાગતાં હતાં, પ્રવાસનાં સમયમાં 40 ટકાનો ઘટાડો અન્ય રુટો પર પણ જોવા મળ્યો છે, જેનાથી ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ અને ખેડૂતોનો મોટો ફાયદો થયો છે.
વર્ષ 2014 અગાઉ 6000 રેલવે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ હતાં, પણ અત્યારે આ સંખ્યા વધીને 10,000 છે. મોટી લાઇનો પર માનવરહિત ક્રોસિંગ્સની સંખ્યા ઘટીને ઝીરો થઈ છે.
રેલવે લાઇનોનું 100 ટકા વીજળીકરણ હાંસલ થશે. નવ વર્ષ દરમિયાન સૌર પેનલમાંથી વીજળી પેદા કરતાં સ્ટેશનોની સંખ્યા વધીને 1200થી વધારે થઈ છે. દરેક રેલવે સ્ટેશનમાંથી ગ્રીન ઊર્જા પેદા કરવાનો છે. 70,000 કોચમાં LED લાઇટ છે અને ટ્રેનોમાં બાયો-ટોઇલેટ્સની સંખ્યા વર્ષ 2014ની સરખામણીમાં વધીને 28 ગણી થઈ છે.
તમામ અમૃત સ્ટેશનો ગ્રીન બિલ્ડિંગ્સના ધારાધોરણોને પૂર્ણ કરે એ રીતે બનશે.
રેલવે એકલા હાથે 1.5 લાખથી વધારે યુવાનોને રોજગારી પ્રદાન કરે છે.
સ્ટેશનોનું નવીનીકરણ રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે થશે. આ સ્ટેશનોના વિકાસ માટે માસ્ટર પ્લાન્સ ‘સિટી સેન્ટર્સ’ તરીકે તૈયાર થઈ રહ્યાં છે, જેમાં શહેરની બંને તરફથી ઉચિત સંકલન સ્થાપિત કરવામાં આવશે. આ સંકલિત અભિગમ શહેરના સંપૂર્ણ શહેરી વિકાસનાં સર્વાંગી વિઝન, રેલવે સ્ટેશનની આસપાસનાં કેન્દ્રો દ્વારા સંચાલિત છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના હોવા છતાં રેલ્વેમાં ગુજરાતને કોઈ ફાયદો કરાવી આપ્યો નથી. પોતાના વડનગર અને ગાંધીનગર જેવા થોડા રેલ્વે સ્ટેશનો બનાવી આપ્યા છે. પણ રેલ્વે લાઈનો વધવી જોઈએ તેના બદલે ઘટી છે. ગુજરાત સરકારે વિધાનસભામાં ઘડાકો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર જેનું સંચાલન કરે છે તે રેલવેની કુલ લંબાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારે 5258 કિલો મીટર હતી જે ઘટીને 5224 કિલો મીટરના થઈ ગયા છે, 34 કિલો મીટરના રેલ માર્ગ ઓછો થઈ ગયો છે. આમ મોદીએ ગુજરાતને રેલવેની લંબાઈ વધારવા કોઈ મદદ કરી નથી ઉલટાનું નુકસાન કર્યું છે.
રેલવેના ત્રીજા વર્ગના ડબ્બા જેવી હાલત ગુજરાતની કરી હોવાથી લોકસભાની ટ્રેન માટે પ્રજાની લાલઝંડી
બ્રોડગેજ લાઈનો 3507 કિલો મીટરની ગુજરાતમાં 2014-15માં હતી તે વધીને 3649 કિલો મીટર થઈ ગયો છે. 142 કિલો મીટર બ્રોડગેજ વધી છે. જે મીટર ગેજને બ્રોડગેજમાં ફેરવવાથી વધી છે. મીટર ગેજ 1193 કિલો મીટર 2014-15માં હતી. જે ઘટીને 1017 કિલો મીટર થઈ છે. વળી, 559 કિલો મીટરની નેરો ગેજ રેલવે લાઈનને બ્રોડ ગેજમાં ફેરવવાની જરૂર હતી, પણ તે માટે મોદીએ કંઈ કર્યું નથી. જો તેને બ્રોડ ગેજમાં ફેરવી આપી હોય તો પણ ઘણું હતું.
આ આંકડા ગુજરાત વિધાનસભામાં રૂપાણી સરકારે આપેલા છે.
ગુજરાત અને મુંબઈને બુલેટ ટ્રેન આપી છે તે ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને પૈસાદાર લોકો માટે આપી છે. તેમાં તો માત્ર ઉદ્યોગ પતિઓ અને મોટા પગારદાર અધિકારીઓ જ બેસી શકે એટલા ઊંચા ભાડે હશે. સામાન્ય લોકો તેમાં બેસી શકે તેમ નથી.