કોરોનાની મહામારીમાં સરકાર અને શાળાના સંચાલકો વચ્ચે ફી અને ઓનલાઈન એજ્યુકેશન બાબતે ચાલી રહેલી જંગમાં સરકારે શાળા સંચાલકોને બાનમાં લેવા માટે મેદાનનું શસ્ત્ર ઉગામ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે, ક્યારે શરૂ થશે તેના કોઈ એંધાણ નથી આવા સમયે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારી અને ખાનગી શાળાઓમાં રમત-ગમતના મેદાન ઉપલબ્ધ કરાવવા અંગેનો પરિપત્ર જાહેર કરાતા સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સરકાર અને સંચાલકો વચ્ચેની લડાઈમાં હવે શિક્ષણ વિભાગે શાળાના રમત-ગમતના મેદાનોના નામે શાળાઓને દબાવવાનું શરૂ કર્યું હોય તેવું વર્તાઈ રહ્યું છે. સમય અને પરિસ્થિતિથી અજાણ બનીને શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર બાદ શાળા સંચાલકોમાં રોષની લાગણી પ્રવર્તી છે.
ગુજરાત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં શહેર તેમજ રાજ્યની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રમત ગમતના મેદાનો બનાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. બાળકોના શારીરીક વિકાસ માટે શાળાઓમાં રમત-ગમત, યોગ, સમૂહ કવાયતનું આયોજન કરવામાં આવે છે, પરંતું કેટલીક શાળાઓમાં રમત-ગમતના મેદાન ઉપલબ્ધ નથી. જે અંતર્ગત તમામ શાળાના સંચાલકોને વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે રમત-ગમતનું મેદાન તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. શહેરમાં હાલ કોરોનાની પરિસ્થિતિને કારણે શાળાઓ બંધ છે, મેદાનમાં રમવા માટે બાળકો નથી અને શારીરીક પ્રવૃતિ કરવાનો કોઈ સમય નથી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલો આ પરિપત્ર કેટલો યોગ્ય છે.
સરકારના આ પરિપત્રથી શાળા સંચાલકોમાં રમૂજ ફેલાય છે. સંચાલકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે મેદાનની વ્યવસ્થા કરશું પણ તેમાં રમત ગમત કરવા માટે બાળકો ક્યાંથી લાવશું. સરકારે બાળકોના શિક્ષણની જવાબદારી લીધી છે તો બાળકોને મેદાન ઉપલબ્ધ કરાવવાની જવાબદારી પણ શિક્ષણ વિભાગની જ છે. મેદાન જો કોઈ ભારતની ફેક્ટરીમાં ઓર્ડર આપીને બનાવાતું હોય તો 16 હજાર શાળાઓ જથ્થાબંધ ઓર્ડરો આપશે, બાકી ચીન પાસે મેદાનની ખરીદી નહીં કરાવવાનો સંચાલકોએ નિયમ લીધો છે. ઉપરાંત સંચાલકોએ જણાવ્યું હતું કે સરકારે વિદ્યાર્થીઓની સંખ્યાદીઠ મેદાન ઉપલબ્ધ કરવાનો આદેશ આપ્યો છે પણ એક વિદ્યાર્થી દીઠ કેટલા સ્કેવર ફૂટ જગ્યા જોશે તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.