ભારે વરસાદને લીધે બટાકા, ડુંગળી અને લીલા શાકભાજીના ભાવોમાં અસહ્ય ઉછાળો આવતા ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયંુ છે. જમાલપુર માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઓછી છે.જેના લીધે છૂટક વેપારીઓ દ્વારા શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે.
સામાન્ય દિવસોમાં બટાકા રૂ.૧૦ થી ૧૨ કિલો મળતા હતા તે વધી રૂ.૪૦ થી ૫૦ વેચાય છે. એ જ રીતે ડુંગળી રૂ. ૧૨ કિલો હતી તે વધીને રૂ. ૩૦ થઈ ગઈ છે. ફુલાવરનો એટલો બધો પાક થયો હતો ત્યારે પૂરતો ભાવ નહીં મળવાને લીધે ખેડૂતોએ રસ્તા ઉપર ફેંકી દીધી હતી. આ ફુલાવર સામાન્ય દિવસોમાં રૂ.૫ થી ૧૦ કિલો મળતો હતો. જે હાલમાં રૂ. ૮૫ કિલો વેચાઈ રહ્યો છે.
બીજી તરફ ચા પત્તી, ખાંડ સહિતના ભાવોમાં તબક્કાવાર વધારો થયો છે. બજારમાં પનીર અને જુદી જુદી કંપનીનું માખણ કોમર્શિયલના નામે કેમિકલયુકત વેચાણ થઈ રહ્યું છે. જે બટર અને પનીરના ભાવોમાં રૂ.૭૦ થી ૮૦ ઓછા હોય છે. લોકો સસ્તું બટર અને પનીરના નામે કેમિકલયુકત બટર અને પનીર વાપરી રહ્યા છે.