ગુજરાત સરકારે તાલુકા અને જિલ્લા પંચાયત વિસ્તારમાં જમીન બિનખેતી(નોન એગ્રીકલ્ચર- NA)કરવાની સત્તા કારોબારી સમિતિ પાસેથી પરત ખેંચીને કલેકટરના હવાલે કરી દીધી છે. જેનો આજથી જ અમલ કરવાની જાહેરાત મહેસુલ મંત્રી કૌશિક પટેલે કરી છે.
બિનખેતીના ભ્રષ્ટાચારનો દરવાજો બંધ કરવા ઓનલાઈન મંજુરી પદ્ધતિનો સરકારે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. બિનખેતીમાં NOC મેળવવામાં અને મંજુરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની બુમરાળને પગલે સરકારે શહેરી વિસ્તારો (કલેકટર હસ્તકના વિસ્તારો)માં ગત લાભ પાંચમથી બિનખેતીની ઓનલાઈન પદ્ધતિ અમલમાં મુકી દીધી હતી.
ઓન લાઈન રજિસ્ટ્રેશનની સફળતાના પગલે પંચાયત ક્ષેત્રમાં પણ ઓનલાઈન પદ્ધતિ અમલમાં મુકી સમગ્ર કામગીરી કલેકટર તંત્રને હવાલે કરી છે. મહેસુલ મંત્રીએ જાહેર કર્યા મુજબ આજથી જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓનલાઈન પધ્ધતિનો અમલ થશે. આ અંગેનું જાહેરનામુ બહાર પડી ગયુ છે. બિનખેતીની માટેની અરજીમાં જેમા આખરી નિર્ણય ન થયા હોય તેવા તમામ કેસ હવે કલેકટરના હવાલે રહેશે. ભ્રષ્ટાચારને ડામવા સરકારે આ પગલું ભર્યું હોવાનું મનાય છે.