ગુજરાતમાં ભારે વરસાદને પગલે છેલ્લા ૩ દિવસમાં ૩૦ વ્યક્તિના મૃત્યુ થયા છે. જેમાં પાણીમાં ડૂબવાથી, ભારે વરસાદને કારણે મકાન પડી જવાથી, ભારે પવન-વરસાદને કારણે ઝાડ પડવાથી મૃત્યુ નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ પૈકી ૧૨ વ્યક્તિના મૃત્યુ છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ થયા છે. હવામાન વિભાગના મતે આગામી ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જોકે, તેની સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવા લાગશે.
ગુજરાતમાં ૨૫ ઓગસ્ટની સવાર સુધી ૩૪.૯૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૦૬.૭૮% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટર દ્વારા જારી કરાયેલી ૨૫ ઓગસ્ટના સવારે ૬ની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાઓના ૨૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના ૧૦ તાલુકાઓમાં ૪ થી ઈંચ વરસાદ નોંધાયો છે. આ પૈકી અબડાસા તાલુકામાં ૨૨૫ મીમી એટલે કે ૯ ઈંચ-રાજકોટના ગોંડલ તાલુકામાં ૧૭૯ મીમી એટલે કે ૭ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. દરમિયાન રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સાથે ગાંધીનગર ખાતે વેધર વોચ ગૂ્રપનો વેબિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ‘આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ ઘટવાની શક્યતા છે. આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થઇ શકે છે. આ સિવાય અન્ય જગ્યાએ હળવો કે નહિવત્ વરસાદ રહેશે. બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં હળવું દબાણ કેમદ ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનની નજીક એક બીજું હળવું દબાણ બનવાથી ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા-પાટણ-કચ્છ-મોરબી-દેવભૂમિ દ્વારકા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદની વકી છે.’