Rajkot: પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલની પુણ્યતિથિ પર રાજકોટમાં અપાશે ભવ્ય અંજલિ, વિશાળ સ્મરણાંજલિ સભાનું આયોજન
Rajkot: આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રની ધીંગી ધરા ના અડીખમ નેતા સ્વ. કેશુભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથિ પર રાજકોટ ખાતે વિશાળ શ્રદ્ધાંજલિ સભા દ્વારા તેમના વિરાટ વ્યક્તિત્વને અનુરૂપ તેમને અંજલી આપવા માટે અનોખા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
Rajkot: આંતરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા આ સ્વ.કેશુભાઈ પટેલની આગામી પુણ્યતિથી પર ઓકટોબર માસમાં સ્મરણાંજલી સભા નાં આયોજન ને લઈને અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્વ. કેશુભાઈ પટેલ ની પુણ્ય સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમ ને વધુમાં વધુ યાદગાર બનાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં લોકસેવા ને વરેલી તમામ સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષનો સહયોગ લેવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અનેકાનેક યોજનાઓનાં માધ્યમથી
લોક હૃદયમાં તેમનું કાયમી અને અમીટ સ્થાન અંકિત કરનાર સ્વ. કેશુભાઈ પટેલને આ ભવ્ય કાર્યક્રમ દ્વારા તેમનાં વિરાટ વ્યક્તિત્વ ને અનુરૂપ શ્રદ્ધાંજલી પાઠવવામાં આવશે. “આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના” દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા બિન રાજકીય રાખવામાં આવી છે અને તમામ પક્ષનાં આગેવાનો રાજકારણથી ઉપર ઉઠીને તેમજ સર્વે જ્ઞાતિ – સર્વે સમાજનાં લોકો તેમનાં માટે આજીવન સમર્પિત લોક નેતા ને એકીસાથે શ્રદ્ધાંજલી આપી શકે તે પ્રકારે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવશે.
જિજ્ઞેશ કાલાવડિયા અને ચિરાગ પટેલે જણાવ્યું કે
આ કાર્યક્રમ દરમિયાન આખો દિવસ વિવિધ ટેબ્લો કે પ્રદર્શનો નાં માધ્યમથી સ્વ. કેશુભાઈ પટેલની સ્મૃતિને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે તેમણે કરેલા કાર્યોની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવશે.
સ્વ. કેશુભાઈ પટેલની આ સ્મરણાંજલિ સભામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ. કેશુબાપા સાથે રાજકીય – સામાજિક અને સેવાકીય ક્ષેત્રોમાં સાથે કામ કરી ચૂકેલા મહાનુભાવો તેમની સાથેની સ્મૃતિને ફરી લોકો સમક્ષ તાજી કરશે.
ગુજરાત ના પનોતા પુત્ર અને ખેડૂત અને ખેતીનું હિત સદા હૃદયમાં રાખનાર આ ધરતીપુત્રને કાયમી યાદગીરી સ્વરૂપે આપણે યાદ કરી શકીએ તે બાબતે પણ આ સ્મરણાંજલિ સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવશે. સ્વ. કેશુભાઈ પટેલની આ ભવ્યાતિભવ્ય સ્મરણાંજલિ સભાનાં આયોજનમાં સહભાગી થવા અને તેને લઈને યોગ્ય સૂચનો માટે સર્વે સમાજનાં વ્યક્તિઓને તેમજ સૌરાષ્ટ્રની લોકસેવાને વરેલી તમામ સંસ્થાઓને પણ આ તકે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે.