ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાતી પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતા ઝડપાયેલા વિધાર્થીઓની સુનાવણી ગાંધીનગર ખાતે બોર્ડની કચેરીમાં રાખવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિના કારણે વિધાર્થીઓને ગાંધીનગર સુધી ધક્કા ન થાય તે માટે ગુજરાતના ચાર ઝોનમાં અલગ–અલગ સ્થળોએ સુનાવણી રાખવામાં આવી હતી. વિધાર્થીઓને સાંભળી યોગ્ય નિર્ણય લેવાની સત્તા જે–તે જિલ્લાની બોર્ડની કમિટીને આપવામાં આવી હતી અને આ મુજબ સુનાવણી કરાયા બાદ જિલ્લા સમિતિ દ્રારા જે ચુકાદાઓ આપવામાં આવેલ છે. જેની સામે 110 વિધાર્થીઓએ વાંધો નોંધાવ્યો છે અને અપીલ કરી છે.
ધોરણ 10 ના 69 , ધોરણ–12 સામાન્ય પ્રવાહના 33 અને વિજ્ઞાન પ્રવાહના સાત વિધાર્થીઓ મળી ૧૧૦ વિધાર્થીઓએ અપીલ કરતા તેમની સુનાવણી માટે બે દિવસ માટે ગાંધીનગર ખાતે બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક રાખવામાં આવી છે. તેમાં વિધાર્થીઓની દલીલ સાંભળવામાં આવશે. બોર્ડની પરીક્ષા સમિતિની બેઠકમાં ભાવિન ભટ્ટ, ભાનુભાઈ પટેલ, પ્રિયવદન કોરાટ,પ્રવીણભાઈ કાછડીયા,રમણભાઈ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.