RTI access to cyber fraud case: સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો માટે રાહત
RTI access to cyber fraud case: રાજ્યમાં સાયબર ફ્રોડ સંબંધિત ફરિયાદો અંગે માહિતી મેળવવામાં સરળતા લાવવા માટે રાજ્ય માહિતી આયોગે CID ક્રાઈમને મળેલી RTI હેઠળની મુક્તિ પાછી ખેંચવા અને નવા જાહેરનામું બહાર પાડવા રાજ્ય સરકારને ભલામણ કરી છે.
ગાંધીનગરના રાકેશકુમાર પ્રજાપતિ સાથે લગભગ 4.5 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડ થયુ હતુ. તેમણે CID સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી અને FIR સહિત તમામ પત્રવ્યવહારની નકલ RTI હેઠળ માંગવામાં આવી હતી, પરંતુ CID ક્રાઈમએ RTI કાયદાની કલમ 24નો આંધળો ઉપયોગ કરીને આ માહિતી આપવા ઇન્કાર કરી દીધો.
આ મુદ્દે દાખલ અરજી પર સુનાવણી કરતા માહિતી કમિશનર નિખિલ ભટ્ટે કહ્યું કે CID ક્રાઈમને મળેલી આ મુક્તિનો ગેરલાભ લઈને સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકો પોતાની ફરિયાદની કાર્યવાહી અંગેની માહિતી મેળવવામાં અટકી રહ્યા છે, જે યોગ્ય નથી. તેઓને તેમની ફરિયાદની તપાસ અને થતી કાર્યવાહી જાણવા નો અધિકાર છે.
આથી માહિતી આયોગે જણાવ્યું છે કે સાયબર ફ્રોડ સંબંધિત માહિતી RTI હેઠળ ઉપલબ્ધ હોવી જોઈએ અને CIDની આ મુક્તિમાંથી સાયબર ફ્રોડની ફરિયાદો માટે મુક્તિ પાછી લઈને સરકારને નવું જાહેરનામું બહાર પાડવાનું કહેવામાં આવે છે.
આ નિર્ણયથી હવે સાયબર ફ્રોડના ભોગ બનેલા સો થી વધુ નાગરિકોને પોતાના કેસની વિગતવાર માહિતી મળવાની આશા મળશે અને તેનાથી તેઓ વધુ સચેત પણ રહેશે.