Sansad Kutch Carnival 2025: અષાઢી બીજની ઉજવણી સાથે સંકળાયેલો કાર્નિવલ
Sansad Kutch Carnival 2025: કચ્છના હૃદયસ્થળ હમીરસર સરોવર કાંઠે 27મી જૂનના સાંજે 6 વાગ્યાથી સૌ પ્રથમવાર ભવ્ય “સાંસદ કચ્છ કાર્નિવલ 2025” નો આરંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી અને આગ્રહથી આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખો પ્રસંગ કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની ઉજવણી સાથે જોડાયેલો છે.
આથી પહેલાં, નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં આ કાર્નિવલ શરૂ કર્યું હતું, જે 2013 સુધી નિયમિત યોજાતો રહ્યો. 26 મે 2025ના રોજ વડાપ્રધાનના ભુજમાં થયેલા જંગી જાહેર સમારોહમાં અષાઢી બીજની શુભેચ્છા આપતા સંબોધનમાં કચ્છીજનોને આ ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. આ માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આ વર્ષથી ફરીથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
કાર્નિવલમાં કચ્છની સાંસ્કૃતિક સંપદાને ઉજાગર કરવામાં આવશે અને વિવિધ ઉદ્યોગ, શાળા-કોલેજ, સંસ્થાઓ અને સમુદાયો તેમની કૃતિઓ પ્રદર્શિત કરશે. દરેક કૃતિ માટે રૂ. 5,000 ઇનામની વ્યવસ્થા છે અને 5 ખાસ કૃતિઓને વિશેષ પુરસ્કાર આપવામાં આવશે.
પ્રદર્શન માટે ખાસ માર્ગખંડ ખેગારપાર્કમાં મહારાવ પ્રતિમાથી શરૂ થઈને લેકવ્યૂ હોટલ પાર કરી ઉમેદનગર સુધી ફેલાશે. આ રસ્તા પર કચ્છની સાંસ્કૃતિક અને ઔદ્યોગિક વિવિધતાઓ દેખાડવામાં આવશે.
આ કાર્નિવલ આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે યોજવાનું નિર્ધારિત છે જેથી કચ્છના લોકોને ગૌરવ અને ઉત્સાહનો અવિસ્મરણીય અનુભવ થાય.
કચ્છના વિવિધ યુવાનો, મંડળો અને સંસ્થાઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15મી જૂન રાખવામાં આવી છે. જો 50થી વધુ કૃતિઓ નોંધાય તો ડ્રો દ્વારા પસંદગી થશે.
આ “સાંસદ કચ્છ કાર્નિવલ 2025” કચ્છની સાંસ્કૃતિક અને ઔદ્યોગિક ઓળખને મજબૂત બનાવવા માટે એક અનોખો તહેવાર સાબિત થશે.