Sanskrit Panchakam Yojana: રાજ્યભરમાં 6 થી 13 ઓગસ્ટ સુધી ઉજવાશે સંસ્કૃત સપ્તાહ
Sanskrit Panchakam Yojana: ભારતની પ્રાચીન અને વૈદિક વારસાને જીવંત રાખવા માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર અને સંવર્ધન માટે પાંચ નવી યોજનાઓનો સમાવેશ કરતું “યોજના પંચકમ્” લોન્ચ કરવામાં આવ્યું છે. આ યોજનાઓનો ઉદ્દેશ છે કે સંસ્કૃત જેવી પ્રાચીન ભાષા માત્ર શાળાઓ સુધી સીમિત ન રહી જાય, પરંતુ લોકોના દૈનિક જીવનમાં પણ પ્રવેશ પામે.
“યોજના પંચકમ્”માં સમાવિષ્ટ પાંચ મહત્વપૂર્ણ યોજના
1. સંસ્કૃત સપ્તાહોત્સવ યોજના:
દર વર્ષે શ્રાવણ સુદ પૂનમ (રક્ષાબંધન) આસપાસની તારીખોમાં રાજ્યભરમાં “સંસ્કૃત સપ્તાહ” ઉજવાશે. વર્ષ 2025માં 6થી 13 ઓગસ્ટ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંગઠનો સંસ્કૃત સપ્તાહ ઉજવીને સંસ્કૃતમય વાતાવરણ ઉભું કરશે. 9 ઓગસ્ટ 2025, શનિવારના દિવસે ‘સંસ્કૃત દિવસ’ તરીકે ખાસ ઉજવણી કરવામાં આવશે.
2. સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના:
આ યોજના અંતર્ગત સંસ્થાઓને નાણાંકીય સહાય આપવામાં આવશે જે સંસ્કૃતના સંશોધન, તાલીમ શિબિરો, સેમિનાર, સંમેલન, નવાચાર કાર્યક્રમો કે અન્ય પ્રવૃત્તિઓ દ્વારા ભાષાનું જતન અને પ્રસાર કરશે.
3. સંસ્કૃત પ્રોત્સાહન યોજના:
ધોરણ 10 માં સંસ્કૃત વિષય અપનાવતી માધ્યમિક શાળાઓને આર્થિક સહાય આપવામાં આવશે. ખાસ કરીને એવી શાળાઓ જ્યાં ધોરણ 10માં 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ હોય, ત્યાં આ ભાષાને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ થશે.
4. શ્રીમદ ભાગવદ ગીતા યોજના:
આ યોજના હેઠળ રાજ્યના નાના-મોટા બધા નાગરિકો વૈદિક જ્ઞાનના અગત્યના ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા સાથે પરિચિત થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. બાળકો, યુવાનો અને વડીલો માટે અલગ-અલગ સ્તરે અભ્યાસક્રમ કે પ્રવૃત્તિઓ યોજાશે.
5. શત સુભાષિત કન્ઠ પાઠ યોજના:
સંસ્કૃતના સુવિચારો, સુભાષિતોની થતી કઠિનતા હવે સરળ બનશે. આ યોજના હેઠળ 100 સરસ સંસ્કૃત સુભાષિતોનો કન્ઠ પાઠ (મેમરાઈઝેશન) થકી નૈતિક મૂલ્યોનો સંસ્કાર સમાજમાં વાવવાની યોજના છે. વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો બંને માટે આ અભિયાન ખુલ્લું રહેશે.
સંસ્કૃત બોર્ડની ભૂમિકા અને માર્ગદર્શન
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, જેની સ્થાપના 2020માં કરવામાં આવી હતી, હવે રાજ્ય સરકારની સંસ્કૃત નીતિ અને યોજનાઓના અમલ માટે મુખ્ય નોડલ એજન્સી તરીકે કાર્યરત છે. તાજેતરમાં મુખ્યમંત્રીએ આ બોર્ડની સ્થાયી સમિતિની બેઠકમાં બોર્ડના નવા લોગોનું અનાવરણ કર્યું અને સંસ્થાની કારગતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.
શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોર અને સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ ડો. હિમાંજય પાલીવાલની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં સંસ્કૃત ભાષાના પ્રસાર માટે અગ્રણી યોજનાઓ વિશે ચર્ચા થઈ.
ગુજરાત સરકારે “વિરાસત ભી, વિકાસ ભી”ના સંદેશાને અનુરૂપ સંસ્કૃત ભાષાને નવો ઊર્જાસ્રોત આપવાનો પ્રયાસ શરૂ કર્યો છે. “યોજના પંચકમ્” એક માત્ર શૈક્ષણિક અભિયાન નહીં, પરંતુ તે સંસ્કૃતિની નાળીને ફરી જીવંત બનાવવાનો પ્રયાસ છે — જ્યાં ભાષા માત્ર અભ્યાસની વિષય ન રહી, પણ જીવનશૈલીનો હિસ્સો બને.