Sarpanch Beats Brain Tumor: મગજની ગંભીર ગાંઠ છતાં હાર ન માની: સરપંચ મહેશ પઢિયાર બન્યા સંઘર્ષનું જીવંત ઉદાહરણ
Sarpanch Beats Brain Tumor: પાદરા તાલુકાના લોલા ગામના સરપંચ અને ખેડૂત એવા મહેશભાઇ પઢિયારે તેમને થયેલી બ્રેઇન ટ્યુમર જેવી ગંભીર બિમારીને દવા ઉપરાંત પ્રાકૃતિક ખેતી પેદાશોને આરોગીને પરાસ્ત કરી છે. આરોગ્યપ્રદ કૃષિ પેદાશો માટે પ્રાકૃતિક કૃષિ અપનાવી તેમણે ગામમાં આ અભિયાનનું નેતૃત્વ લીધું છે.
લોલા ગામના મહેશભાઈ પઢિયાર ફક્ત ખેડૂત નથી, તેઓ એક સંવેદનશીલ તથા પરિવર્તનશીલ વ્યક્તિ છે, જેમણે પોતાના સ્વાસ્થ્ય સંબંધિત દુઃખમાંથી એક નવી શરુઆત કરી. માત્ર 35 વર્ષની ઉંમરે સરપંચ તરીકે સેવા આપતા મહેશભાઈ આજે અનેક માટે પ્રેરણાનું પ્રતીક છે. તેમની આ યાત્રા કોઈ સરકારની યોજના કે પુસ્તકના પાને નહીં, પણ જીવલેણ અનુભવ અને આંતરિક સંઘર્ષમાંથી ઉપજી છે.
મહેશભાઈના જીવનમાં એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમના મગજની ગાંઠનું નિદાન થયું. વારંવાર બીમાર પડવું, દવાઓનો ખુબ મારો અને અંતે જીવનની અનિશ્ચિતતા !! આ બધાથી તેમના મનમાં એક જ પ્રશ્ન ઉદભવતો: “શું આપણે ખરેખર જે ખાઈએ છીએ તે જ બીમારીનું મૂળ નથી ને?”
મહેશભાઈ એ જણાવ્યું કે, “હું અને મારી પત્ની દિવસે 3-4 વખત ડોક્ટર પાસે જતાં હતા. રોજેરોજ દવા લેવી પડતી. પછી મારા શંકાનું તીર ખોરાક તરફ ગયું. તે વખતથી જ મેં ખરેખર વિચારવાનું શરૂ કર્યું – આપણે શું ખાઈએ છીએ અને કેમ બીમાર પડીએ છે.”
ત્યારબાદ સચિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેઓ ATMA (કૃષિ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી)ની તાલીમ સાથે જોડાયા અને 2012થી કુદરતી ખેતીના અભ્યાસમાં ઉતર્યા.
જીવામૃત, ઘનજીવામૃત અને વર્મી ખાતર જેવી પરંપરાગત પદ્ધતિઓથી ખેતરમાં યોગ્ય સંતુલન લાવ્યું. મહેશભાઈ તેમના ખેતરમાં બનાવતા જૈવિક ઉત્પાદનો, જીવામૃત, ઘન જીવામૃત અને વર્મી ખાતર અન્ય ખેડૂતો માટે પોષણક્ષમ દરે ઉપલબ્ધ પણ કરાવે છે. ઉત્પાદનોના વેચાણ અને વિવિધ માર્કેટ પ્લેસમાં વેચાણથી તેઓ વાર્ષિક અંદાજે રૂ. 3 લાખની આવક ઊભી કરે છે. તેઓ હાલ સરગવો, ઘઉં, બાજરી, દેશી કાકડી, ભીંડા, જામફળ, હળદર અને કેરી સહિત વિવિધ પાકોની ખેતી કરી અને બમ્પર ઉત્પાદન મેળવી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીના સાદા પગથિયાંથી શરૂ થયેલી આ યાત્રા આજે ગ્રામિણ વિસ્તારોમાં જીવનશૈલી બદલવાના ઉદાહરણરૂપ મોડેલમાં ફેરવાઈ છે. પાંચ જેટલા ગામોમાં જેમકે, લોલા, મજાતન, સંધા, ચિત્રલ અને ચોકરીમાં ખેડૂત માસ્ટર તરીકે ૨૦ થી ૨૫ ખેડૂતોને તાલીમ આપી છે અને મહિલાઓના સખી મંડળોને પણ આ માર્ગે લઈ જવા પ્રયત્નશીલ છે.
અંતે મહેશભાઈએ જણાવ્યું કે, “જ્યારે અમારો ખોરાક પ્રાકૃતિક ખેતીમાંથી આવવાનો શરૂ થયો, ત્યારે અમારો સંપૂર્ણ પરિવાર આરોગ્યમય બન્યો. હવે અમે બહુ ઓછીવાર બીમાર પડીએ છીએ.”