સુરત સહિત રાજ્યભરમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે ત્યારે આગામી 29 અને 30 તારીખે રાજ્યભરમાં પ્રાથમિક અને માધ્ય. તેમજ ઉ.માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓની સામાયિક મૂલ્યાંકન અને એકમ કસોટી લેવામાં આવનારી છે. જો કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પરીક્ષા રદ કરવાની માંગણી કરી છે.
ગુજરાત રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 50465 પર પહોંચ્યો છે અને આ આંકડામાં સતત વધારો પણ થઈ રહ્યો છે ત્યારે લોકો ઘરમાં રહે તે જરૂરી છે. રાજ્યમાં શિક્ષણકાર્ય પણ ઓનલાઈન ચાલી રહ્યું છે, સ્કૂલો બંધ રાખવામાં આવી છે પરંતુ હાલમાં જ સરકારે સ્કૂલોમાં પરીક્ષાની લેવાની જાહેરાત કરી છે.
જો કે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું કહેવું છે કે, એકમ કસોટી અને સામયિક પરીક્ષા યોજી શકાય તેવી વર્તમાન પરિસ્થિતિ નથી. આખી દુનિયા અત્યારે માનસિક પીડા અને કોરોના કોવિડ-19ની ભયજનક સ્થિતિમાં સપડાયેલી છે. સુરત મેટ્રોપોલિટીન શહેર છે. લગભગ 22 રાજ્યોનાં લોકો અહીં વસે છે. હાલમાં સૌ જીવન રક્ષા માટે પોતાના વતન ફરી રહ્યાં છે. સુરતમાં વસતા પર પ્રાંતીય અને અન્ય જિલ્લાઓનાં લોકો સ્થળાંતર કરીને ગામ ચાલ્યા ગયા છે. તેવી પરિસ્થિતિને શિક્ષણ વિભાગ કેમ સમજી શકતું નથી? CBSE જેવી દેશની મહત્વની પરીક્ષાઓમાં પણ માસ પ્રમોશન આપી શકાતું હોય તો ધો.3થી 12ની શાળા કક્ષાની પરીક્ષા કેમ લેવા માટે સરકાર જીદ્દી વલણ અપનાવે છે? સમજાતું નથી.