ગુજરાતની ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણની ફી ન લેવા માટેના શિક્ષણ વિભાગના આદેશના પગલે શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેતા વાલીઓ સંચાલકો અને શિક્ષણ વિભાગ તો સેફ થઇ ગયા છે પરંતુ રાજ્યની ખાનગી શાળાઓમાં નોકરી કરતા 12 લાખથી વધુ શિક્ષકો અને 4 લીાખથી વધારે કર્મચારીઓની નોકરી પર જોખમ આવી ગયું છે. જે અંતર્ગત સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકાર પાસે શિક્ષકોના પગાર અથવા તો આત્મનિર્ભર લોન આપવા માટેની માગણી કરી છે
હાઈકોર્ટના વાલીઓ પાસેથી ફી ન ઉધરાવવાના નિર્ણય બાદ સરકાર સંચાલકોને સહાયરૂપ નહીં થાય તો શિક્ષકોને ઘેર બેસવાનો વારો આવી શકે છે. ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અને સરકાર વચ્ચેના વિવાદમાં શિક્ષકોની હાલત કફોડી બની રહી છે કેમકે, સરકારે ઓનલાઇન શિક્ષણની ફી લેવાનું બંધ કરી દેતા શાળા સંચાલકોએ પણ શિક્ષકો સહિત શાળાના સ્ટાફને પગાર આપવાની અસમર્થતા દર્શાવવા લાગ્યા છે. આ મામલે ખાનગી શાળાના સંચાલકોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે શિક્ષકો અને સ્ટાફને પગાર આપવો તમને પોસાય તેમ નથી. તેથી રાજ્ય સરકાર શાળા સંચાલકોને આત્મનિર્ભર લોન આપે જેથી શિક્ષકો અને સ્ટાફનો પગાર અમે કરી શકીએ
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ધોરણ 9 થી 12ના ખાનગી શાળાના આઠ લાખ જેટલા શિક્ષકો અને અન્ય સ્ટાફ છે જ્યારે ધોરણ 1 થી 8ની સ્વનિર્ભર શાળાઓમાં સાડા ત્રણ લાખ જેટલા શિક્ષકો સહિતનો સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે આ તમામને પગાર આપવો સંચાલકોને હવે પરવડે તેમ નથી તેથી નાછૂટકે અમારે પણ શિક્ષકોને છુટા કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.