ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ હરણફાળ ભરી છે ત્યારે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જોકે, વધતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ગાંધનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ ચૂંટણી આગામી 18મી એપ્રિલના રોજ યોજાનારી હતી. જોકે, કેસની સંખ્યામાં અચાનક હનુમાન છલાંગ લાગતા તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું હતું. દરમિયાન રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ દ્વારા આ વિકટ સ્થિતિમાં ચૂંટણીઓ ન યોજવા માટે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.
દરમિયાનમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજ્ય ચૂંટણીપંચને આ ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી. આ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઓ અંગે મુખ્યમંત્રીની રજૂઆતો અને કૉંગ્રેસની રજૂઆત બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાં તજજ્ઞો આ સ્થિતિમા મતદાન ન યોજાય તેવો મત વ્યક્ત કરી ચુક્યા હતા. હાલમાં જે પ્રકારનો સ્ટ્રેઇન કોરોનાને વકરી રહ્યો છે તેને જોતા જો આ ચૂંટણી યોજાય તો ગાંધીનગરની સ્થિતિ વણસી શકે તેમાં બે મત નહોતો. દરમિયાનમાં બંને પ્રમુખ પત્ર ભાજપ-કૉંગ્રેસ અને આમ આદમ પાર્ટી દ્વારા આ ચૂંટણીના મુરતિયાઓ પણ શોધી લેવામાં આવ્યા હતા છતાં લોક લાગણીને માન આપીને આ ચૂંટણી ન યોજવાનાં નિર્ણયથી હવે ગાંધીનગરના મતદારો અને તંત્રએ હાશકારો ભર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપાની ચૂંટણી માટે હવે ચૂંટણી પંચ દ્વારા સ્થિતિ સામાન્ય થવાના સંજોગોમાં ફક્ત નવી તારીખો જાહેર કરવામાં આવશે. મનપાની ચૂંટણીની નવી તારીખો અને પ્રચારનો સમય જાહેર કરી અને સીધી ચૂંટણી યોજવામાં આવશે. જોકે, આ અંગેનો કોઈ ચોક્કસ સમયગાળો આપવામાં આવ્યો નથી.
દરમિયાનમાં રાજ્યમાં મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાવાની છે પરંતુ આ પેટાચૂંટણી ગ્રામીણ વિસ્તારોમાં થવાની હોવાથી હજુ આ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. દરમિયાનમાં વિધાનસભાની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચના અંતર્ગત યોજાતી હોવાથી આ અંગેનો નિર્ણય પણ કેન્દ્રીય ચૂંટણી પંચ લઈ શકે છે. જોકે, હજુ સુધી તેના વિશે કોઈ ચર્ચા થઈ નથી.