2023માં પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના મુંબઈ બંગલા ‘મન્નત’માં બળજબરીથી ઘૂસનાર એક વ્યક્તિની ભરૂચમાં ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે જણાવ્યું હતું કે, ભરૂચમાં નિવૃત્ત આર્મી જવાનના ઘરમાંથી ચોરી કરવાના આરોપમાં રામસ્વરૂપ કુશવાહ (21)ની ધરપકડ કરવામાં આવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલે જણાવ્યું હતું કે આરોપીએ અન્ય એક વ્યક્તિ સાથે ચાર દિવસ પહેલા ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્યાંથી 2.74 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોના-ચાંદીના સામાનની ચોરી કરી હતી.
નાયબ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, કુશવાહાએ પોલીસને જણાવ્યું હતું કે અગાઉ તેણે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં અભિનેતા શાહરૂખ ખાનના બંગલા મન્નતના હાઈ સિક્યુરિટીને ચકમો આપી બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શાહરુખ ખાનના સુરક્ષા ગાર્ડ્સે કુશવાહા અને તેના સાગરિતને ઝબ્બે કરી લીધો હતો. આ કેસમાં 2 મે, 2023 ના રોજ સવારે બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે ભરૂચ બી ડિવિઝન પોલીસે કુશવાહ અને મિન્હાજ સિંધાનીની મોના પાર્ક સોસાયટીમાં એક ઘરમાં ચોરી કરવા બદલ ધરપકડ કરી હતી. તેમની પાસેથી 2.74 લાખ રૂપિયાની ચોરાયેલી વસ્તુઓ જપ્ત કરી છે.