Shankersinh Vaghela Kadi Visavadar Bypoll: પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા બંને બેઠકો પર ઉમેદવારો ઉભા કરવાના એલાન બાદ ત્રણેય મુખ્ય પક્ષો માટે વિવાદજનક સ્થિતિ સર્જાઈ
Shankersinh Vaghela Kadi Visavadar Bypoll: ગુજરાતની રાજકીય ગરમાવટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ફરી એક વખત ચૂંટણીના મેદાનમાં પ્રવેશ કર્યો છે. પોતાની નવી રાજકીય પાર્ટી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ની જાહેરાત બાદ તેઓ હવે પ્રથમવાર પેટાચૂંટણીઓમાં દાવ લગાવશે.
ત્રણેય પાર્ટીઓ વચ્ચે ચુસ્ત મુકાબલો, બાપુ કરશે મત વિભાજન?
વર્તમાનમાં રાજ્યમાં કડી અને વિસાવદર પેટાચૂંટણીઓને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિસાવદર બેઠક પર AAP નેતા ગોપાલ ઇટાલિયા મજબૂત રીતે દાવેદારી કરી રહ્યા છે, જ્યારે કડી બેઠક પર હજુ ઉમેદવારીને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. આ સ્થિતિમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટી મતદારોને વિભાજિત કરશે એવી ધારણા લગાવવામાં આવી રહી છે.
બાપુએ જાહેરાત કરી: બંને બેઠકો પરથી લડાવાશે ઉમેદવારો
શંકરસિંહ વાઘેલાએ આજે અમદાવાદ ખાતે તેમની પાર્ટીના કાર્યાલયમાંથી જાહેરાત કરી કે “પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી” વિસાવદર અને કડી બંને બેઠકો પર ઉમેદવારી રજૂ કરશે. તેમણે કહ્યું કે, 31 મે 2025ના રોજ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ તેઓ નોમિનેશન ફોર્મ ભરી દેશે.
મહુડાની દારૂ નીતિથી ઓળખાતા શંકરસિંહ વાઘેલા ફરી મેદાનમાં
અત્રે ઉલ્લેખનીય છે કે, વાઘેલાએ અગાઉ જાહેરમાં કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો મહુડાના દારૂને કાયદેસર બનાવી દેવામાં આવશે. જેના કારણે તેઓ ટ્રાઇબલ વિસ્તારોમાં “મહુડા પાર્ટી” તરીકે પણ ઓળખાય છે. તેમના આગમનથી રાજ્યની પેટાચૂંટણીઓમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે.