ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાનાં કેસનાં આંકડાઓ વધતા જ જાય છે. એવામાં હવે શ્રાવણ મહિનો શરૂ થતાં શિવાલયો પર પણ ભક્તોની ભીડ જામવા લાગી છે. ત્યારે સોમનાથ મંદિરમાં જામતી ભક્તોની ભારે ભીડને કારણે સોમનાથ ટ્રસ્ટે મંદિરમાં પ્રવેશ (દર્શન) માટે ફરજિયાત પાસ સિસ્ટમ શરૂ કરી દીધી છે. બહારથી આવનારા ભક્તો માટે ફરજિયાત ઓનલાઇન પાસ બુકિંગ કરવાનું રહેશે.
મહત્વનું છે કે હવે શ્રાવણ મહિનો શરૂ થતાં શિવભક્તો મંદિરોમાં દર્શન માટે ઉમટી પડ્યાં છે. પરંતુ કોરોના મહામારીને કારણે તેની ગાઇડલાઇનનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ ભારતનું એક માત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામતા ટ્રસ્ટે દર્શન માટે ફરજિયાત પાસ સિસ્ટમ કરી દીધી છે. જેનાં ઓનલાઇન બુકિંગ આવશ્યક થઇ ગયું છે.
આમ, સોમનાથ મંદિર દર્શન માટે પાસ સિસ્ટમ શરૂ કરનારું પ્રથમ મંદિર બની ગયું છે. ટ્રસ્ટનાં નિર્ણય મુજબ દર્શનનાં સમય મુજબ દર કલાકે 200 જેટલાં પાસ ઇશ્યુ કરવામાં આવશે. જો કે કોરોના મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા સોમનાથ મહાદેવની આરતીમાં કોઇને પણ પ્રવેશ નહીં મળે.