ગીર-સોમનાથ: સમગ્ર ગુજરાત કોરોનાની આકરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ઠેરઠેર ઓક્સીજનની અછત પણ સર્જાઈ રહી છે. ઓક્સીજન વગર લોકો ટપોટપ મરી રહ્યા છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લાના કોરોના દર્દીઓની સેવા માટે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઑક્સિજન પ્લાન્ટ માટે ટ્રસ્ટ તરફથી 50 લાખ રૂપિયા અને ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાની ફાળવણી કરી છે. આ નિર્ણયની સાથે ઑક્સિજન પ્લાન્ટ માટે 75 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું થઈ ગયું છે.
હાલની વૈશ્વિક મહામારી દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી જરૂરીયાત મુજબ ક્વૉરન્ટીન પેશન્ટ તથા પરિવાર માટે વેરાવળ, પ્રભાસ પાટણમાં ટીફિન સેવા તેમજ કોવિડ કેર સેન્ટર માટે 73 રૂમનું લીલાવતી ભવન પણ સુપ્રત કરવામાં આવ્યું છે. તેમજ પ્રભાસ પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરીયાત મુજબ ઑક્સિજન પ્લાન્ટ ઊભો કરવા માટે રૂ.50 લાખ ફાળવવામાં આવશે.
જિલ્લા આરોગ્ય કેન્દ્રના સુપરવિઝન હેઠળ આ ઑક્સિજન પ્લાન્ટ ત્રણ અઠવાડીયામાં કાર્યરત થઈ જશે. પ્લાન્ટ કાર્યરત થવાથી રોજના 51થી વધુ સિલિન્ડર જેટલો ઑક્સિજન મળી રહેશે. જેથી પ્રભાસ પાટણ તેમજ આસપાસના જરૂરીયાતવાળાને આ આરોગ્ય સેવાનો લાભ મળશે.
કોરોના મહામારીમાં લોકો જ્યારે હૉસ્પિટલમાં ઑક્સિજન માટે વલખા મારી રહ્યા છે, ત્યારે ટ્રસ્ટ હોય કે સેવાભાવી સંસ્થા કે પછી કોઈ પણ પક્ષના નેતા, તમામ લોકો શક્ય મદદ કરી રહ્યા છે. જે પ્રમાણે ગીર-સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં દાતાઓ ખભેખભો મિલાવી લોકોની મદદ માટે સામે આવી રહ્યા છે. આ માટે હવે સોમનાથ ટ્રસ્ટ અને સોમનાથના ધારાસભ્ય સોમનાથ વિધાનસભાની પ્રજાની વ્હારે આવ્યા છે. આમ પણ સોમનાથ ટ્રસ્ટની જેમ સોમનાથના ધારાસભ્ય હાલની મહામારીમાં કોઈને કોઈ રીતે લોકોની મદદ કરતા રહે છે.
તેઓ છેલ્લા ઘણા દિવસોથી વેરાવળ, ચોરવાડ સહિતના આસપાસના વિસ્તારોમાં ઑક્સિજનના સિલિન્ડર આપી લોકોની મદદ કરી રહ્યા છે. હવે ફરી એકવાર તેઓએ પ્રભાસ પાટણના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઑક્સિજન પ્લાન્ટ માટે પોતાની ગ્રાન્ટમાંથી 25 લાખ ફાળવતા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ માટે કુલ 75 લાખ રૂપિયા એકઠા થઈ ગયા છે.