જૂનાગઢના ગિરનારની ધાર્મિક રીતે ખુબજ મહત્વ ધરાવતી પરિક્રમાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. આજે અંદાજે એકાદ લાખ યાત્રીકો ઉમટી પડયા હતા. આ ઉપરાંત બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પહોંચી યાત્રીકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો જોવા મળ્યો હતો. રૃટ પર રાવટીઓ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. યાત્રીકો માટે અન્નક્ષેત્રો પણ ધમધમતા થઇ ગયા છે.
આજે સવારથી શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન મજેવડી દરવાજા, કાળવા ચોક વિસ્તાર તરફથી યાત્રીકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો જોવા મળ્યો હતો. એસ.ટી. દ્વારા બસ સ્ટેન્ડ ખાતેથી તળેટી સુધી જવા માટે મિની બસ શરૃ કરી દેવામાં આવી છે.
પરિક્રમા શરૂ થતા આ રૂટ પર ચા, પાણી, નાસ્તા તથા ભોજન અને પ્રસાદ માટે અન્નક્ષેત્રો ધમધમતા થઇ ગયા છે. સ્વયંસેવકો તૈયારીઓમાં લાગી ગયા છે. મોટી સંખ્યામાં પરિક્રમા માટે લોકો ઉમટી પડ્યા છે. સાવચેતીના પગલે તંત્ર પણ ઉભા પગે છે. અત્યારે તો જંગલમાં મંગલ જેવો માહોલ છે યાત્રીકો પ્રકૃતિને ખોળે કુદરતી વાતાવરણમાં આનંદ મેળવી રહ્યા છે. ભજન,ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે લીલી પરિક્રમા લીલી પરિક્રમાનું અનેરું મહત્વ છે.