Surat Flood Crisis: પર્વત પાટીયાના વિસ્તારોમાં જળબંબાકારનો કહેર
Surat Flood Crisis: સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદના પાણી ભરાયેલા હોવાથી હજારો રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઈટ, નંદનવન, વૃંદાવન તથા માધવબાગ જેવી અનેક સોસાયટીઓમાં ખાડીપૂરના પાણી ભરાતા લોકોના રોજિંદા જીવનમાં અવરોધ ઉભા થયા છે. તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ અસરકારક પગલા ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે.
છાતીના દુખાવાની ફરિયાદ છતાં 30 મિનિટ સુધી રાહ
લિંબાયતના રહેમાનભાઈ નામના 65 વર્ષીય દર્દીને છાતીના દુખાવાની ફરિયાદ થતા તાત્કાલિક સારવાર જરૂરી હતી. 108 એમ્બ્યુલન્સ સમયસર પહોંચ્યાં છતાં, પાણી ભરાયેલા રસ્તાઓમાં બોટની વ્યવસ્થા ન હોવાને કારણે દર્દીને સ્ટ્રેચર દ્વારા એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં લગભગ 30 મિનિટનો વિલંબ થયો. હાલ રહેમાનભાઈ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચોમાસાની શરૂઆતમાં જ હાલત કફોડી
22 અને 23 જૂનના દિવસે સુરત શહેરમાં 17 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. એ બાદ ખાડી ઓવરફ્લો થતાં પર્વત પાટીયા, સરથાણા, લિંબાયત, ગોડાદરા સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા. હાલ પણ ઘણા વિસ્તારોમાં ખાડીનું પાણી ઓસર્યું નથી.
તંત્ર નિષ્ફળ: વાહનો પાણીમાં ગરકાવ
પર્વત પાટીયાના રસ્તાઓ પર એકથી દોઢ કિલોમીટર સુધી ગોઠણ સુધી પાણી ભરાયેલા હોવાથી વાહનો બંધ થઈ ગયા છે. ઘણા લોકો પેડલ રિક્ષાના માધ્યમથી 100 રૂપિયા ચૂકવી પાણીમાંથી બહાર આવી રહ્યા છે. સ્થાનિકો તંત્રની નિષ્ફળતાની આકરી ટીકા કરી રહ્યા છે.
પોલીસ દ્વારા જાગૃતિ અભિયાન
સુરત પોલીસે હાલ તમામ વિસ્તારોમાં જાગૃતિ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યો છે અને લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ કરી રહી છે. જરૂરી પડે તો લોકો માટે જરૂરી સામાન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.
મેયરના નિર્દેશ: તરત જ સફાઈ કરાવવાની તકેદારી
સુરતના મેયર દક્ષેશ માવાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે તંત્રને તાત્કાલિક સફાઈ અને દવાનો છંટકાવ કરવા આદેશ આપ્યો છે જેથી રોગચાળો ન ફેલાય. સુરત શહેરમાં છેલ્લા 48 કલાકથી ભરાયેલા પાણી હવે ધીમે ધીમે ઓસરવા લાગ્યાં છે.
સુરતમાં જળબંબાકાર દરમિયાન તબીબી ઇમરજન્સી માટે પૂરતી તૈયારીના અભાવને કારણે નાગરિકોની જિંદગીઓ જોખમમાં મુકાઈ રહી છે. ચોમાસાની સ્થિતિમાં તંત્ર દ્વારા જળસંકટ માટે આગોતરા વ્યવસ્થાઓ કરવી જરૂરી છે.