સુરતઃ હજીરા ઘોઘા બાદ હવે ગુજરાતીઓ માટે દરિયાઈ મુસાફરી માટે નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. ગુજરાતીઓ માટે આ સારા સમાચાર છે. સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત આજે 31 માર્ચના રોજ થવા જઇ રહી છે. કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે આજે સાંજે 4.30 કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.
દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13થી 14 કલાકનો સમય લાગશે.
300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે. આ ઉપરાંત શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે. આ ક્રુઝ ગેમીંગ લાઉન્જ, વી.આઈ.પી. લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વિગેરે આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
આ ક્રૂઝમાં દીવથી હજીરા અને હજીરાથી દીવનું એકબાજુનું ભાડુ એક વ્યક્તિ માટે 900 રૂપિયા છે. જ્યારે રિટર્ન ટિકિટ સાથે લો તો તમને એક ટિકિટના 1700 રૂપિયા પડશે.
ચાર માસ પૂર્વે જ માન. પ્રધાનમંત્રીશ્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધો છે.
આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનાં હસ્તે તા. 31-03-21ના રોજ વર્ચ્યુઅલી કરવામાં આવશે.