Surat plastic waste management: 8 વર્ષમાં 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક રિસાયકલ કરીને 29 સ્થળે 38 કિમી રોડ બાંધ્યા
Surat plastic waste management: વિશ્વ પર્યાવરણ દિવસ-2025ના અવસરે ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત’ આ વર્ષની થીમ છે. આ પ્રસંગે સુરત શહેરએ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનમાં પોતાની આગવી ભૂમિકા દ્વારા દેશમાં નામ કરાવ્યું છે. શહેરમાં લોકભાગીદારી સાથે પ્લાસ્ટિક કચરાના નિયંત્રણ માટે 5R સિદ્ધાંતો – રિફ્યુઝ (નકારવું), રિડ્યુસ (ઘટાડવું), રિપેર (મરામત કરવું), રિસાયકલ (પુનઃપ્રક્રિયા કરવી) અને રિયુઝ (ફરીથી વાપરવું) –ને પૂરપાટીથી અમલમાં લાવવામાં આવ્યો છે.
સુરતમાં 29 સ્થળોએ 38 કિલોમીટરના રોડ પ્લાસ્ટિકથી બન્યા
પ્લાસ્ટિક નોન-બાયોડિગ્રેડેબલ મટીરિયલ છે, જેનું વિઘટન 400 થી 1000 વર્ષ સુધી ચાલે છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા છેલ્લા 8 વર્ષમાં અંદાજે 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિકને રિસાયકલ કરીને, 29 વિસ્તારોમાં 38 કિલોમીટરના રોડ બાંધવામાં આવ્યા છે. આ કામગીરીમાં આશરે 225 મેટ્રિક ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થયો છે, જેમાં અડાજણ, પીપલોદ, વરાછા, ઉધના, કતારગામ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
2017થી શરૂ થયેલી પ્લાસ્ટિક પ્રોસેસિંગ કામગીરી
સરકારના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016ને અનુસરીને, SMCએ જૂલાઈ 2017થી PPP મોડેલ હેઠળ પ્લાસ્ટિક કચરાનું સંકલન અને પ્રોસેસિંગ શરૂ કર્યું છે. સુરતના 8 રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનો દ્વારા દરરોજ 200 ટન પ્લાસ્ટિક કચરો એકત્ર કરી રિસાયકલિંગ માટે મોકલવામાં આવે છે.
દૂધની થેલીઓ માટે ખાસ વ્યવસ્થા
EPR (Extended Producer Responsibility) અંતર્ગત સુરત સુમુલ ડેરી સાથે કરાર કર્યો છે, જેના દ્વારા દરરોજ લગભગ 1.5 લાખ દૂધની પ્લાસ્ટિક થેલીઓ એકત્ર કરી પુનઃપ્રક્રિયા કરવામાં આવે છે.
દરરોજ 200 ટન પ્લાસ્ટિકમાંથી પેલેટ્સ બનતા હોય છે
સુરતની રિસાયકલિંગ ફેક્ટરીમાં ભટાર ખાતે દરરોજ 200 ટન પ્લાસ્ટિક કચરાનું પ્રોસેસિંગ થાય છે અને તેને પ્લાસ્ટિકના દાણાં (પેલેટ્સ)માં ફેરવવામાં આવે છે. આ પેલેટ્સનો ઉપયોગ નવીન પ્લાસ્ટિક ચીજવસ્તુઓમાં થાય છે, જે પર્યાવરણ માટે વધુ અનુકૂળ છે.