વ્યારાઃ તાપી જિલ્લાના વ્યારામાં ખુની ખેલ ખેલાતા સન્નાટો ફેલાયો હતો. અહીં એક બિલ્ડરની રાત્રે તલવારના 15થી વધુ ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. જ્યારે પોલીસ પણ દોડતી થઈ હતી. આ સાથે બિલ્ડરના મોતથી પરિવાર ઉપર પણ આભતૂટી પડ્યું હતું. અને પરિવારમાં શોક ફેલાયો હતો. જિલ્લા પોલિસ કાફલો ઘટના સ્થળે પોંહચી આગળની તપાસ હાથ ધરી છે
વ્યારા ખાતે બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા નિસિશ શાહ શુક્રવારે રાત્રે આશરે આઠેક વાગ્યે પોતાના ઘરેથી મોટરસાઇકલ પર નીકળી નજીકમાં આવેલા શનિદેવ મંદિર પાસેનાં ચારરસ્તા ખાતે આવેલા તરબૂચવાળાને ત્યાં ઊભા હતાં. ત્યાં કાર નં.જીજે-5જેપી-2445ના ચાલકે તેમના બાઇકને કારથી ટક્કર મારી હતી. જેથી નિસિશ શાહ પોતાનાં મોટરસાઇકલ સાથે જમીન પર પડી ગયા.
ઉઠવાનો પ્રયત્ન કરે તે પહેલા કારમાં આવેલા ચાર જેટલા માણસોએ તલવારો સાથે ઉતરી તલવારોનાં ઘા મારવા લાગ્યા. જેમને રોકવા જતાં તરબૂચ વેચનાર ગણેશ નામનાં ઈસમને પણ પેટમાં તલવાર વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ આ હુમલાખોરો કારમાં નાસી છૂટ્યાં હતા.
આ ઘાતકી હત્યાનાં સમાચાર વાયુવેગે ફેલાતા સ્થાનિકો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાંથી નિસિશ શાહને લોહીલુહાણ હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરનાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. નિસિશ શાહના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અચાનક આવું બનવાથી સ્તબ્ધ થઈ ગયા હતા. તાપી પોલીસે આસપાસનાં તમામ વિસ્તારનાં જિલ્લાઓમાં કારનો નંબર આપી નાકાબંધી કરાવી દીધી હતી..
તેમજ આ ઘટના સ્થળની નજીકમાં આવેલા સીસીટીવી કેમેરાનાં ફૂટેજ જોતાં પ્રાથમિક તારણમાં મહિન્દ્રા કંપનીની ટીયુવી કાર હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.