Thakor community : પાટીદાર બાદ હવે ક્ષત્રિય ઠાકોર સેના સક્રિય, કેસો પરત ખેંચાવવા માટે લેખિત રજૂઆત
પાટીદાર સમાજના કેસો પાછા ખેંચાયા બાદ હવે ક્ષત્રિય ઠાકોર સેના પણ સક્રિય થઈ, યુવાનો પરના કેસ પરત લેવા લેખિત રજૂઆત કરી
પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે સરકારને અપીલ કરી કે ઠાકોર અને ઓબીસી સમાજના યુવાનો માટે પણ સમાન ન્યાય મળવો જોઈએ
મહેસાણા, રવિવાર
Thakor community : પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસો પરત ખેંચાવાનો દાવો કરવામાં આવતાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથીરિયાએ સરકારનો આભાર માન્યો. આ નિર્ણયથી ગુજરાતમાં નવા મુદ્દા ઉઠાવાયા છે. જો પાટીદાર આંદોલનના કેસો પાછા ખેંચાય, તો અન્ય આંદોલનકારીઓના કેસ પણ પરત લેવાય તેવી માંગ ઉઠી છે.
ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલનના ગંભીર કેસો પાછા ખેંચવાના નિર્ણય બાદ, બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આંદોલન દરમિયાન થયેલા કેસો પણ પરત ખેંચવા માટે લેખિત રજૂઆત કરી છે.
ઠાકોર અને ઓબીસી સમાજના યુવાનો માટે પણ ન્યાયની માંગ
ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે, ઠાકોર અને ઓબીસી સમાજના યુવાનો પર થયેલા કેસો પણ પાછા ખેંચવા જોઈએ, જેમ કે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત લેવામાં આવ્યા. 2012 થી 2017 દરમિયાન વ્યસન મુક્તિ અને જનતા રેડ જેવી ગતિવિધિઓના સમયગાળામાં ઠાકોર અને ઓબીસી યુવાનો પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે હજુ ચાલી રહ્યા છે.
ઠાકોર સેના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આંદોલન દરમિયાન સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી, ન તો કાયદો હાથમાં લેવાયો છે. તેથી, પાટીદાર સમાજના કેસો પાછા ખેંચાયા હોય, તો ઠાકોર અને ઓબીસી સમાજ માટે પણ સમાન ન્યાય મળવો જોઈએ, તેવી માંગ ઉઠી છે.