માં શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રી મહોત્સવનો રવિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ, સતત ચાલુ રહેલા વરસાદને પગલે મોટા ભાગના ગરબા મેદાનોમાં પાણી ભરાઇ ગયા હોવાથી કેટલાંક આયોજકો દ્વારા પ્રથમ દિવસના ગરબા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો કેટલાંક ગરબા આયોજકો દ્વારા રવિવારના દિવસે નિર્ણય લેશે. જોકે, શેરી ગરબામાં રમઝટ જામશે.
રવિવારથી વરસાદની દહેશત વચ્ચે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. શહેરમાં સવારથી સમયાંતરે વરસાદી ઝાંપટાનો દોર સતત ચાલુ રહ્યો હતો. શુક્રવારે ધોધમાર પડેલા વરસાદને કારણે કારેલીબાગ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, યુનાઇટેડ વે ગરબા મેદાન, માં શક્તિ ગરબા મેદાન, પેલેસ હેરીટેજ ગરબા મેદાન સહિત નાના-મોટા તમામ ગરબાના મેદાનોમાં પાણી ભરાઇ ગયા હતા. કાદવ-કિચ્ચડથી મેદાનો લથપથ થઇ ગયા હોવાથી આયોજકો ડેકોરેશન પણ કરી શક્યા ન હતા.
ગરબાના મેદાનોમાં પાણી ભરાઇ ગયા હોવાથી અને વરસાદની દહેશત હોવાના કારણે કારેલીબાગના જાણીતા અંબાલાલ પાર્કના ગરબા પ્રથમ દિવસે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વાઘોડિયા રોડ, માં શક્તિ, પેલેસ હેરીટેજ, વડોદરા નવરાત્રિ ફેસ્ટીવલ ગરબા મહોત્સવના આયોજકો દ્વારા રવિવારે બપોર સુધીમાં નિર્ણય લેવાનું જણાવ્યું છે.મેદાનોમાં ગરબાની શરૂઆત થયા બાદ શેરી ગરબા પડી ભાંગ્યા હતા. પરંતુ. આ વખતે સતત ચાલુ રહેલા વરસાદ અને આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી હોવાથી મેદાનોમાં ગરબાનું આયોજન કરનાર આયોજકો મુંઝવણમાં મુકાઇ ગયા છે. જો વરસાદ ચાલુ રહે તો મેદાનોમાં ગરબા થાય તેવી કોઇ શક્યતા નથી. ત્યારે આ વખતે શેરી ગરબાની જમાવટ થશે તેમ મનાઇ રહ્યું છે. જે વિસ્તારોમાં શેરી ગરબા બંધ થઇ ગયા હતા. તેવા વિસ્તારના રહીશોએ પણ શેરી ગરબાનું રાતોરાત આયોજન કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.