ગીરના સિંહોનાં મોતના સાચાં કારણો જાહેર ન કરાતા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં સિંહોના મૃત્યુનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે, પરંતુ ચિંતાનો વિષય વન વિભાગ અને વન અધિકારીના વલણનો છે, કારણ કે મૃત્યુ પામનારા સિંહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પહેલાં જ મોટા ભાગના કિસ્સામાં સિંહોની આંતરિક લડાઈ અથવા કોઈક માંદગીના કારણે મૃત્યુ થયાના એકસરખાં કારણો આપી દેવાય છે.
ગીરના સિંહો માટે વાયરસથી બચવા જે રસી અપાય છે તે રસી અમેરિકામાં નોળિયા અને જંગલી ખિસકોલીને આપવામાં આવે છે. આ રસીનું કલીનીકલ ટ્રાયલ સિંહો પર કરવામાં આવ્યું ન હોય તો તેવી રસી ગીરના સિંહો માટે શા માટે આયાત કરવામાં આવી રહી છે? સિંહોને વાયરસ ન હોય તો અમેરિકાથી મંગાવેલી આ 1 હજાર રસીનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? આવા તમામ સવાલો મામલે વન વિભાગ પાસેથી ખુલાસો માગવાની દાદ માગી છે.
જૂનાગઢ માળિયા હાટીનાના ખેડૂત વરજંગ કારમતાએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે કે, તાજેતરમાં જ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડી. ટી. વસાવડાએ દાવો કર્યો હતો કે, ગીરના સિંહોમાં કોઈ જ રોગ નથી કે સીડીવી પ્રકારનો કોઈ વાઇરસનો ચેપ લાગ્યો નથી. જો સિંહોને વાઇરસનો ચેપ લાગ્યો જ ન હોવાનો દાવો કરતા હોય તો શા માટે અમેરિકાથી સીડીવી રસીના 1 હજાર ડોઝ મગાવ્યા તેની વન વિભાગને સ્પષ્ટતા કરવા હાઈકોર્ટ પાસે દાદ માગવામાં આવી છે.
1 વર્ષથી સિંહના મૃત્યુનું પ્રમાણ વધ્યું પણ વન વિભાગના અધિકારીઓનું વલણ ચિંતાજનક વન વિભાગના અધિકારીઓના વિરોધાભાસી વલણને લીધે ગીરના સિંહોના મૃત્યુ વધી રહ્યા છે. સિંહો પ્રત્યેની તેમની બેદરકારી દેખાય છે.