લોક-જંગ
દિલીપ પટેલ દ્વારા
અમદાવાદ 11 સપ્ટેમ્બર 2023
દરેક ચૂંટણીમાં મોટું ફંડ આપવા માટે વસંત ગજેરા(Vasant Gajera) જાણીતા છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદી સામે બળવો કર્યો ત્યારે સુરતથી તેમને મોટો ટેકો મળ્યો હતો. વસંત ગજેરાના ભાઈ ધીરૂભાઈ ગજેરાએ મોદી સરકાર પાડી દેવા માટે 85 ધારાસભ્યો કેશુભાઈ સમક્ષ ગાંધીનગરમાં રજૂ કર્યા હતા. પણ મોદીને કેશુભાઈએ બચાવી લીધા હતા. ત્યાર પછી કેશુભાઈએ પોતાના જ પક્ષના નેતા નરેન્દ્ર મોદીને રાક્ષસ કહ્યાં હતા.
જુલાઈ 2018માં વસંત ગજેરા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
ગજેરાનું આપેલું સૂત્ર બધાને હિંમત આપે એવું છે. “ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો. કેમકે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે, સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.” – વસંત ગજેરા Vasant Gajera
રાજકારણ
સુરતની દરેક મોટી ઘટનાઓની આસપાસ ગજેરા હોય છે. ચંદ્રકાંત પાટીલ પણ વસંત ગજેરાનો અનેક વખત રાજકીય અને આર્થિક સહારો લીધો હતો. પાટીલ પોતે વસંત ગજેરાની કચેરીમાં મળવા જતાં હતા. સુરતના રાજકારણમાં વસંત ગજેરાનું નામ જાહેરમાં ભલે ન લેવાતું હોય પણ અંદરથી દરેક નેતા અને દરેક પક્ષ તેમની મદદ લે છે. આ વાત નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ચંદ્રકાંત પાટીલને ખટકે છે.
જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે ગજેરાને કિન્નાખોરી રાખીને પરેશાન કરવામાં આવે છે. સુરતમાં અમિત શાહ પર ખુરશીઓ ફેંકવામાં આવી ત્યારથી શાહ સુરતના દરેત એવા વ્યક્તિને શોધતાં રહ્યાં છે. ત્યાર પછી અનેક લોકો અનેક કારણોસર જેલમાં ધકેલી દેવાતા આવ્યા છે. વસંજ ગજેરા પણ જેલવાસ ભોગવી આવ્યા છે. ભાજપની કિન્નાખોરીના કારણે પૂર્વ ધારાસભ્ય અને વસંત ગજેરાના ભાઈ ધીરુભાઈ ગજેરાને ભાજપ છોડીને કોંગ્રેસમાં જવું પડ્યું હતું. પછી તેમના પર સામાજિક અને આર્થિક દબાણ લાવીને ફરી ભાજપમાં લાવવામાં આવ્યા છે. હવે લોકસભાની ચૂંટણી આવી ત્યારે ફરી એક વખત ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિ પર ભાજપે આર્થિક ગાળીઓ નાંખી દીધો છે.
સચિન GIDCમાં આવેલા લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાને કારણે GIDCએ કરોડો રૂપિયાની આવક ગુમાવવી હતી. તેથી જમીન ખરીદ કરનારા ભાજપ સાથે મજબૂરીથી જોડાયેલા ગજેરાને રૂ.600 કરોડ વસૂલી કરવા નોટીસ આપવામાં આવી હતી.
અભિષેક બિલ્ડરની 6 લાખ 29 હજાર ચોરસ મીટર જમીન હતી. અભિષેક બિલ્ડર ભાજપના નેતા અને સુરત નવસારીના લોકસભાના સાંસદ ચંદ્રકાંત પાટીલ સાથે જોડાયેલા હતા. જે ભારતના સૌથી મોટા હીરાના વેપારી અને બિલ્ડર વસંત ગજેરાએ પાટીલ પાસેથી જમીન ખરીદી હતી. લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે જ બરાબર આ કૌભાંડ રાજકિય ઈરાદા સાથે બહાર આવ્યું છે. કોંગ્રેસથી પક્ષપલટો કરીને ભાજપમાં પક્ષપલટો કરનારા જીઆઈડીસીના અધ્યક્ષ રાજપુતે ખેલ પાડી દેવા માટે આ કૌભાંડની નોટીસ આપી હતી.
ગજેરાએ 6 લાખ 29 હજાર ચોરસ મીટર જમીન ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ પાસેથી ખરીદી હતી? આ પ્રોજેક્ટની જમીન રૂ.1200 કરોડની અને તેના ઉપરનો પ્રોજેક્ટ રૂ.4 હજાર કરોડનો હોઈ શકે છે. તો હવે નવસારી લોકસભા વિસ્તારના મતદારોના મનમાં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રૂ.1200 કરોડની જમીન પાટીલ પાસે કઈ રીતે આવી. તેમની પાસેથી જંગી નાણાં ક્યાંથી આવ્યા ?
સચિન જીઆઈડીસીમાં 17 ઓગસ્ટ, 2000એ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને છ લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે તેનો કબજો બીજી મે 2000એ જ અભિષેક એસ્ટેટને અપાયો હતો. 8 વર્ષ બાદ 14 ઓગસ્ટ, 2008એ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ને જમીન સોંપવામાં આવી હતી.
21 ડિસેમ્બર, 2009ના રોજ વધારો કરીને વસંત ગજેરાને 9 લાખ 30 હજાર ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ના વસંત ગજેરાએ મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું.
આ જમીન રહેણાંકના હેતુ માટે હતી. પણ તેના ઉપર ટેક્સટાઈલ પાર્ક બનાવી દીધો છે. કોમર્શિયલ ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યાં સુધી ભાજપના તમામ નેતાઓ ચૂપ રહ્યાં હતા. પણ લોકસભાની ચૂંટણી આવી એટલે કૌભાંડ ગાજ્યું છે.
GIDCએ રાજ્યના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ડેવલપર્સને જમીનની ટોટલ વેલ્યૂએશનના 2 ટકા અને અન્ય ચાર્જ સહિત રૂ.600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી હતી.
લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સના તંત્ર દ્વારા પાંચથી છ વખતના નકશા પાસ કરવામાં આવ્યા છે. જીઆઇડીસી નિગમ નિયમ મુજબ જે પણ નકશા પાસ થયા હોય તેના બે ટકા રકમ લઈ નકશાને નિયમિત કરવા પડે છે.
હજાર ચોરસ મીટરના પ્લોટની બજાર કિંમત 6 કરોડ હોય તો 12 લાખનો દંડ ભરવાનો થાય છે.
પ્લોટ વિભાજન કરી દીધા બાદ તેની ફાળવણી અનેક પ્લોટ હોલ્ડરને કરી દેવામાં આવી છે. આવા સંજોગોમાં પાંચ ટકા રકમનો દંડ ભરપાઇ કરવાનો જીઆઇડીસીએ નિયમ બનાવ્યો છે.
સુડા દ્વારા પ્લોટની ફાળવણી કોમર્શિયલ હેતુ માટે કરવમાં આવી હતી. પરંતુ સચિન જીઆઇડીસીની આસપાસના વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ પ્લોટની સારી એવી માંગ હોવાના કારણે હેતુફેરની કાર્યવાહી કર્યા વિના જ ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ બનાવી દેવામાં આવ્યા હતા. જેમાં હેતુફેરની મંજૂરી લેવાની હોય છે.
હેતુફેરની જગ્યા સરકાર હસ્તક લેવામાં આવતી હોય છે. સમગ્ર પ્રકરણ હાલ તકેદારી આયોગમાં ચાલી રહ્યું છે.
લક્ષ્મી ઇન્ફ્રાના વસંત ગજેરાએ જાહેર કર્યું હતું કે, અમારે કોઇ રૂપિયા ભરવાના થતા નથી, મને એ વાતની કોઇ ચિંતા નથી, છતા નોટિસ મળી છે તો અમે જવાબ આપીશું.
35 હજાર મીટર જમીન વિવાદ
20 વર્ષ પહેલાં ખેડૂતો પાસેથી સરકારે પડાવી લીધેલી જમીનનો કિસ્સો આજે પણ ચર્ચામાં છે. જેમાં 2015માં સુરતના ચોર્યાશી તાલુકાની 5 લાખ ચોરસ મીટર જમીન રહેણાંક માટે જાહેર કરી હતી. તે પરત આપી શકાયા તેમ ન હોવા છતાં ખેડૂતોના નામે 30 હજાર ચોરસ મીટર જમીન ભાજપની સરકારે વસંત ગજેરાને આપી હતી. મૂળ ખેડૂતોએ રૂ.10 કરોડ આપી પરત લીધી તે જમીનની કિંમત 2016માં 110 કરોડ રૂપિયા હતી. આજે તો તેની કિંમત 3 ગણી થઈ ગઈ છે.
જમીન પચાવી
શહેરના કતારગામમાં ગજેરા સ્કુલની પાસે આવેલી ગજેરાબંધુઓની લક્ષ્મી રેસીડેન્સીનો વિવાદ હતો. સોસાયટીના રહીશો મોરચો કાઢીને પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. ક્લબ હાઉસથી માંડીને સી.ઓ.પી.ની જગ્યા સોસાયટીને સુપ્રત કરવાને બદલે ત્યાં નવું પ્લાનિંગ કરીને વેચવાની પેરવી ચાલી રહી હોવાનો વિવાદ હતો. પોલીસ બંદોબસ્તહેઠળ કોમન પ્લોટ અને ક્લબ હાઉસની જગ્યા અલગ થાય તે રીતે દિવાલનું બાંધકામ શરૂ કરવા વિવાદ ફરી ભડક્યોહતો. લક્ષ્મી રેસિડેન્સીના બિલ્ડર વસંત ગજેરાએ જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ પણરહેવાસીઓએ કર્યો હતો.
વસંત ગજેરાનું મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ ઉધનામાં અલગથી બને છે તે પણ મોટું કામ છે. કુલ 4 માર્કેટ તેઓ ઊભા કરી રહ્યાં છે.
પીએનબી કાંડ
શહેરના મોટા ઉદ્યોગપતિ વસંત ગજેરાનું દેશના સૌથી મોટા પીએનબી બેંક કૌભાંડમાં સામેલ હોવાની હકી થોડા સમય પહેલાં જ સામે આવી હતી. પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની સાથે સુરતના વસંત ગજેરાનું સીધું કનેક્શન હોવાની ચર્ચા જોર પર છે.
આદીવાસીની જમીનનો 27 કરોડનો દંડ
કામરેજતાલુકાના ખોલવડ ખાતે આવેલી આદિવાસીની જમીન કાયદાની વિરૂદ્ધ જઇને ખરીદી કરી હતી. સુરતના હીરા અગ્રણી વસંત ગજેરાના શાંતાબહેન હરિભાઇ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટને 27 કરોડ રૂપિયાનો દંડ કર્યો હતો. ફટકારવાના 5 વર્ષ અગાઉ પ્રાંન્ત અધિકારીએ લીધેલા નિર્ણયને શુક્રવારે કામરેજના મામલતદારે યોગ્ય ઠેરવતો હુકમ કર્યો હતો. બિનઆદિવાસી ટ્રસ્ટને ટ્રાન્સફર થઇ શકે નહીં.
ગૌચરની જમીન
વસંત હરી ગજેરાનું અમરેલી ચક્કરગઢ રોડ પર આવેલું શૈક્ષણિક સંકુલ વિવાદમાં હતું. અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત પટેલ શંકુલ નામની શૈક્ષણિક સંસ્થા તેના પર બની હતી. તે 19 વર્ષ પહેલાં મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે બની ગયું ત્યાં સુધી ભાજપના એક પણ નેતાઓએ તેની સામે વાંધો લીધો ન હતો. પણ ચૂંટણી આવતાં ગૌશાળાનાં નામે સરકારી ગૌચર જમીન ઉપર કરવામાં આવેલા દબાણ પોલીસે ફેબ્રુઆરી 2019માં હટાવી 2 લાખ 83 હજાર ચોરસ મીટર એટલે કે 4 એકર જમીન ખુલ્લી કરી હતી. ખેડૂતોનાં ખેતર જવાનાં રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યાં હતાં.
25 હજારનો દંડ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જમીનના બોગસ દસ્તાવેજોના આધારે હડપવાના કારસામાં વસંત ગજેરાને રૂ.25 હજારનો દંડ અદાલતે કર્યો હતો.
10 હજાર દંડ
કતારગામની ગજેરા શાળાને કોવિડ-19 રોગચાળા વચ્ચે વર્ગ 8 ના વિદ્યાર્થીઓને ઑફલાઇન વર્ગો આપીને રાજ્ય સરકારની સૂચનાનું કથિત ઉલ્લંઘન કરવા બદલ રૂ. 10,000ની પેનલ્ટી નોટિસ પાઠવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ ગજેરા સ્કૂલને નોટિસ જારી કરી હતી. 50 ટકા ક્ષમતા સાથે માત્ર 9 થી 12 સુધીના વર્ગને જ મંજૂરી આપી છે. શાળામાં 2 હજાર વિદ્યાર્થીઓ હતા.
કોર્ટ કમિશન
17 ઓક્ટોબર 2020માં ડુમસ રોડ સ્થિત ભાવિ દર્શન સંકુલમાં શાંતિ લાઈફ સ્પેસના ભાગીદારો વસંત ગજેરા વગેરેએ મિલકતમાં તોડફોડ કરવા સંબંધે સુરત કોર્ટે કોર્ટ કમિશન નિમવા કરેલા હુકમને હાઇકોર્ટે રદ કર્યો હતો. બોગસ દસ્તાવેજોને આધારે ફ્લેટ ધારકોની મિલકત પચાવી પાડવાના બદહેતુથી ફ્લેટના માલિકો સભાસદોને ડરાવી ધમકી તોડફોડ કરી હોવાની ફરિયાદ ઉમરા પોલીસ મથકે નોંધાવાઇ હતી. 2019માં હાઇકોર્ટે સુરત પોલીસ કમિશ્નરને જાતે તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.
આવક છુપાવી
સુરત શહેરમાં વેસુની કરોડોની જમીન પચાવી પાડવા માટે કોર્ટમાં ખોટા ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા. જેમાં લાજપોર જેલમાં રહેલા ઉદ્યોગપતિ વસંત ગજેરાએ કોર્ટમાં અને ઇન્કમટેક્સ વિભાગમાં બે જગ્યાએ અલગ બેલેન્સશીટ રજૂ કરી સામે ચાલીને આફત નોતરી હતી. વિવાદિત જમીન ફરતે દીવાલ બનાવવાનો ખર્ચ રૂ. 3 લાખ કોર્ટમાં રજૂ કરેલી બેલેન્સશીટમાં બતાવ્યો હતો. જ્યારે ઇન્કમટેક્સ વિભાગમાં રજૂ કરેલી બેલેન્સશીટમાં આ ખર્ચ બતાવ્યો નથી.
ઇન્કમટેક્સ પાસે રૂ. 3 લાખની આવક છૂપાવી હતી.
મિલેનિયમ માર્કેટ 2 વિવાદ
આંજણા વિસ્તારમાં 60,257 ચોરસ મીટર જમીનમાં મિલેનિયમ માર્કેટ-2 બનતું હતું ત્યારે વિવાદ થયો હતો. જમીન સામે 11 વર્ષ પહેલા ખેતીવાડી મામલતદારે આદેશ કરેલાં હતા. મૂળ માલિકના પુત્ર જીજ્ઞેશ ધનવાલાએ ફરિયાદ નોંધાવી હતી. ગેરરીતિ અને નકલી સહીઓ સાથે ખોટા દસ્તાવેજો બનાવવા માટે મામલતદાર દ્વારા વિવાદિત જમીનને સરકારી કબજામાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બાંધકામની મંજૂરી ન આપવા નિર્ણય કરાયો હતો. પ્લાન મંજૂર કરાયા હતા પણ ત્રીજો સુધારેલો પ્લાન મંજૂર થયો ન હતો. તેમના અગાઉના બે રહેણાંક અને કોમર્શિયલ હતા. આ જમીન કથિત રીતે કૈલાશ ગજેરા, વસંત ગજેરા અને ચુન્ની ગજેરા, જેઓ શાંતિ રેસીડેન્સીસ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે અને કેટલાક અન્ય લોકો સાથે 1999માં બાબુ નાથુ પટેલ પાસેથી 2009માં ખરીદી હતી. પ્રોજેક્ટ માટે બુકિંગ પૂર્ણ થયા પછી, 2010 માં સાઇટ પર બાંધકામ શરૂ થયું.
ચૂની ગજેરા
રામજી કૃપા રો-હાઉસ જમીનના વિવાદમાં કરાયેલા આદેશ સામે કરવામાં આવેલી કલેરિફિકેશન અરજી રદ કરવા સાથે ચૂની ગજેરાને રૂપિયા 25 હજાર દંડ ફટકાર્યો હતો. રામજી કૃપા રો-હાઉસની 3 એકર અને 13 ગુંઠા કીમતી જમીન હતી. મૃતક સોમીબેનના અંગૂઠાનું બોગસ નશિાન કરીને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરીને ચૂની ગજેરાએ પચાવી પાડી હતી. આ કેસમાં જેલવાસ ભોગવી રહેલા ચૂની ગજેરા અને તેના સાગરીત ઘનશ્યામ લાખાણી, વિનુ કથીરિયા અને રમેશ ધામેલિયા એ જામીન અરજી અંગે હાઇકોર્ટના નામદાર જજ એ.એલ.દવેએ નોટ બી ફોર મી નો ઓર્ડર કર્યો હતો.
છેડતીનો ગુનો
સપ્ટેમ્બર 2020માં સુરત શહેરના જાણીતા ઉદ્યોગપતિ તથા બિલ્ડર અને ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી સામે અડાજણ પોલીસ મથકમાં છેડતીનો ગુનો દાખલ થયો છે. ગજેરા ગ્લોબલ સ્કૂલમાં ફરજ બજાવતી શિક્ષિકાની છેડતી કરી બિભત્સ ચેનચાળા કર્યા હોવાનો આરોપ હતો.
ટોચના જ્વેલર
દેશના 10 શ્રીમંત જ્વેલરમાંથી વસંત ગજેરા એક છે. લક્ષ્મી ડાયમંડ 1972માં બની હતી.
અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ અને સમગ્ર વિશ્વમાં તેઓ કામ કરે છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે. 1995 થી લક્ષ્મી ડાયમંડ ડાયમંડ ડી બીયર્સ ગ્રુપની વિતરણ શાખા ધરાવે છે. ઝવેરાતના વેપાર માટે છૂટક પોલિશ્ડ હીરાના ઉત્પાદક અને વિતરક છે. મુંબઈ અને સુરતમાં જ્વેલરી બનાવે છે. લક્ષ્મી ડાયમંડ પ્રા. લિ.ને 2014માં GJEPC-India દ્વારા “સૌથી વધુ સામાજિક રીતે જવાબદાર કંપની”નો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ (1993) એ લક્ષ્મી ગ્રુપનું છે. ગુજરાતમાં 45 હજાર વિદ્યાર્થીઓ સાથે 6 શાળાઓ અને 7 કોલેજો છે. વૃદ્ધ અને અનાથ બાળકોની સેવા કરે છે.
શું તેથી તેઓ કાયદો તોડી રહ્યાં છે? તો સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં સૌથી મોટા જમીન કૌભાંડો સુરત અને અમદાવાદમાં ભાજપના રાજમાં કેમ થયા છે. વસંત ગજેરાએ એવું કેમ કરવું પડે છે, દરેક ચૂંટણી વખતે જ શા માટે વસંત ગજેરાને ભાજપની હિંદુ વાદી સરકાર પરેશાન કરે છે. શું છે તેનું સાચું રહ્સ્ય તે તો વસંત ગજેરા જ કહી શકે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. Satyadaynews
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: SATYANEWS GUJARAT YouTube