કોરોના મહામારીના સંક્રમણ વચ્ચે ધાર્મિક સ્થળો આઠમી તારીખથી મંદિરો ખૂલવાના છે. ત્યારે હિન્દુ ધર્મમાં ભારે મહાત્મ્ય ધરાવતી વટ સાવિત્રી વ્રતની પૂનમ શુક્રવારના રોજ ઉજવાશે. જેમાં સૌભાગ્યવતી સ્ત્રી પતિના દીર્ઘાયુ માટે વ્રત પાળશે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તેમજ સેનિટાઇઝ જરૂરી હોવાથી વડની પૂજાને લઈ અસમંજસની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી બાજુ પૂનમની આ મધરાતે વૃશ્ચિક રાશિમાં ચંદ્રગ્રહણ પણ થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. પરંતુ છાયાગ્રહણ હોવાથી ધાર્મિક રીતે પાળવાનું રહેતું નથી.
હિન્દુ ધર્મમાં જેઠ મહિનાને ધાર્મિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતની પૂનમ હોવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓ વડની પૂજા કરીને પોતાના સૌભાગ્યની વૃદ્ધિ માટે આશીર્વાદ પ્રાપ્ત કરશે. હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ભારે મહાત્મ્ય છે. યમરાજના હાથમાંથી પોતાના પતિનો જીવ પાછો લાવનાર સતી સાવિત્રીની લોકવાયકા સાથે જોડાયેલા આ વ્રતમાં સૌભાગ્યવતીઓ દિવસમાં માત્ર એક ફળ જ ખાય છે. ખાસ કરીને ગુજરાતી મહિલાઓમાં આ વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે. વહેલી સવારે વડની અને પોતાના પતિની પૂજા સાથે વ્રત શરૂ કરવામાં આવે છે. આ દિવસે વડના વૃક્ષની નીચે સાવિત્રી સત્યવાનની કથા શ્રવણ અને વડની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગ્રહણ છે. પરંતુ છાયાગ્રહણ હોવાને કારણે તે વટ સાવિત્રી વ્રતની પૂજામાં બાધારૂપ બનશે નહીં. એટલે વટ સાવિત્રી વ્રતની પૂજા કરી શકાશે.
રાત્રિના 11.16 વાગ્યે ચંદ્રગ્રહણ થશે
આ ઉપરાંત બ્રહ્માંડમાં સમયાંતરે સર્જાતી ગ્રહણની ખગોળિય ઘટનાને પગલે વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકોમાં ભારે કુતૂહલ જોવા મળે છે. આવો જ એક આકાશી નજારો આજરોજ મધરાતે જોવા મળશે તેમજ જેઠ સુદ પૂનમના શુક્રવારે વૃશ્ચિક રાશિમાં ચંદ્રગ્રહણ થશે. ચંદ્રગ્રહણનો સ્પર્શ રાત્રિએ 11.16 વાગ્યે થશે. જ્યારે મધ્ય 12.55 વાગ્યે અને મોક્ષ 2.34 વાગ્યે થશે. યુરોપ, આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ, અમેરિકાના પૂર્વ ભાગ, પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગરમાં આ ગ્રહણ દેખાશે. આ ગ્રહણ ભારતમાં પણ દેખાશે. પરંતુ માદ્ય છાયા ગ્રહણ હોવાથી શાસ્ત્રોક્ત કે ધાર્મિક રીતે પાળવાનું રહેતું નથી. જેથી મંદિરોમાં કે ઘરમાં તેનું સૂતક કે વેધ પાળવાનો નથી, તેવો મત ખગોળશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.