સૌરાષ્ટ્રના સાગરકાંઠામાં વાયુ વાવાઝોડાનો માર્ગ યુ-ટર્ન લેતા હવે કચ્છ તરફ આ વાવાઝોડુ ફંટાઇ રહ્યું છે અને તે સોમવારે ત્રાટકશે. ભૂજથી નૈઋત્ય ખૂણે પપ૦ કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં સ્થિર આ વાવાઝોડુ આગળ વધ્યા બાદ નબળુ પડી જશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તેવું પણ જાણવા મળે છે. જો કે સરકાર અને તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના સાગરકાંઠાની જેમ જ કચ્છમાં વાયુના સંકટને લઇને એનડીઆરએફની ટીમ સહિતની વ્યવસ્થા યથાવત રાખવામાં આવી છે. જયારે વાયુનું આગમન થાય તે પૂર્વે રવિવારથી જ ચોમાસુ માહોલ અને ભારે પવન પણ કચ્છમાં ફૂંકાઇ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પહેલા દીવ અને વેરાવળ અને દ્વારકા અને વેરાવળને અસર કરનારું વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયાની વાત વચ્ચે આ વાવાઝોડુ ૧૭-૧૮ જૂન એમ બે દિવસ દરમિયાન કચ્છને હિટ કરે તેવી આગાહીને લઇને કચ્છમાં સમગ્ર તંત્ર એલર્ટ બન્યું છે. કચ્છના માંડવી, કંડલા સહિત સ્થળોએ રાઉન્ડ ધી કલોક કંટ્રોલ રૂમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે ભૂજની હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારના જણાવ્યા મુજબ વાવાઝોડાની ફંટાવવાની દિશા જોતા સોમવારે નલીયા તરફના સમુદ્રથી કચ્છમાં લેન્ડ ફોલ થશે અને ત્યાંથી તે ઉત્તર-ગુજરાત તરફ આગેકૂચ કરી રાજસ્થાન તરફ જાય તેવી પણ શકયતા દર્શાવી છે. રાકેશ કુમારે એવુ પણ જણાવ્યું છે કે વાવાઝોડુ નબળુ પડતુ રહેશે અને ડિપ ડિપ્રેશનમાં આવી જશે તે અંગે તેઓએ સૂચિતાર્થ સાથે જણાવ્યું છે કે હાલ વાવાઝોડુ સિવિયર સાયકલોનીક સ્ટોર્મ પર છે. રાત સુધીમાં તે નબળુ પડી સાયકલોનિક સ્ટોર્મમાં ફેરવાઇ જશે. જયારે કચ્છમાં લેન્ડ ફોલ થશે ત્યારે ડિપ ડિપ્રેશનમાં ફેરવાઇ ગયું હશે. આમ લેન્ડ ફોલ પૂર્વે થી જ વાયુ વાવાઝોડુ નબળુ થઇ જશે તે પણ સંકેત આપ્યો છે.
જો કે નિવાસી નાયબ કલેકટર કે.એસ.ઝાલાના જણાવ્યા મુજબ વાવાઝોડા પર તંત્રની ચાંપતી નજર છે. જરૂર પડ્યે કાંઠાળ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવવાની સજ્જતા સાથે સતર્ક છીએ. માત્ર અગરિયાઓને અગરોમાં મોકલવામાં આવ્યાં નથી. હજુ વેઈટ એન્ડ વૉચની પરિસ્થિતિ છે. કચ્છમાં NDRFની 5 ટીમ મોકલવામાં આવી છે. એક-એક ટીમ ગાંધીધામ, નલિયા અને માંડવીમાં તૈનાત કરાઈ છે.