Visavadar by-election : રજનીકાંત વાઘાણીએ કિરીટ પટેલની ઉમેદવારી સામે વાંધો દાખલ કર્યો
Visavadar by-election : વિસાવદર વિધાનસભા બેઠક માટે યોજાતી પેટાચૂંટણી હવે માત્ર ચૂંટણી નથી રહી, પરંતુ રાજકીય વિવાદ અને કાયદાકીય દલીલોનું ભવિષ્ય સાબિત થઈ રહી છે. આજે ઉમેદવારી ફોર્મોની ચકાસણી દરમિયાન અપક્ષ ઉમેદવાર રજનીકાંત વાઘાણીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ગંભીર વાંધાઓ રજૂ કર્યા છે.
વાઘાણીએ દાવો કર્યો છે કે કિરીટ પટેલે જે શપથનામું રજૂ કર્યું છે, તે સરકાર દ્વારા નિર્ધારિત અધિકૃત નમૂનાથી જુદું છે. તેઓએ જણાવ્યું કે પટેલે પોતાનાં મનગમતા રીતે તૈયાર કરેલા ડોક્યુમેન્ટને સોગંદનામા તરીકે રજૂ કર્યું છે, જે ચૂંટણીના નિયમો મુજબ માન્ય ન ગણાય.
આ મામલે અપક્ષ ઉમેદવાર દ્વારા લેખિતમાં વાંધાની અરજી ચૂંટણી અધિકારીને સોપવામાં આવી છે. વાઘાણીએ ચેતવણી આપી કે જો તેમની રજૂઆત પર યોગ્ય પગલાં નહીં લેવાય, તો તેઓ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે.
કિરીટ પટેલ વિરુદ્ધ માહિતી છુપાવવાનો પણ આરોપ મૂકાયો છે. વાઘાણીના મતે, જ્યારે ચૂંટણીના નિયમો દરેક ઉમેદવાર માટે સરખા છે, ત્યારે કોઈ એક ઉમેદવાર માટે અલગ માપદંડ લાગુ કરવો યોગ્ય નથી.
ચૂંટણી અધિકારી સી.પી. હિરવાણિયાએ જણાવ્યું કે કુલ 31 ઉમેદવારી ફોર્મમાંથી 22 માન્ય ઠરાવાયા છે. જે ફોર્મ સામે વાંધાઓ દાખલ થયા છે, તેની કાયદેસર તપાસ ચાલુ છે. અધિકારીએ સોગંદનામા ફોર્મેટ વિષે આવેલા વાંધાઓ અંગે પણ યોગ્ય તપાસની ખાતરી આપી છે.
વિસાવદર બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મક્કમ સ્પર્ધા જોવા મળી રહી છે. આ નવા વિવાદે ચૂંટણીને વધુ તીખી બનાવી દીધી છે.