Visavadar By Election 2025: વિસાવદરનો વિજયી ચહેરો
Visavadar By Election 2025: વિસાવદર પેટાચૂંટણી 2025માં ગોપાલ ઈટાલિયાએ ભવ્ય જીત મેળવી રાજકીય જગતમાં નવા ચહેરાની એન્ટ્રી કરાવી છે. એક સમયના સરકારી કર્મચારી રહ્યા ગોપાલ ઈટાલિયાએ આજે વિધાનસભાની બેઠક સુધી પહોંચવાની સફર પૂરી કરી છે.
સામાન્ય પરિવારથી શરૂઆત
ગોપાલ ઈટાલિયાનો જન્મ 21 જુલાઈ, 1989ના રોજ બોટાદમાં સામાન્ય પરિવારમા થયો હતો… તેમનો શિક્ષણનો પાયો ભાવનગરમાં મૂકાયો, જયાં તેમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતક થયા.
સરકારી કર્મચારીથી સામાજિક કાર્યકર્તાની સફર
વર્ષ 2013માં પોલીસ કૉન્સ્ટેબલ તરીકે અમદાવાદમાં સેવા આપી, પછી 2014માં મહેસૂલી ક્લાર્ક બન્યા. સરકારી નોકરી દરમ્યાન પણ ગોપાલ ઈટાલિયા સામાજિક મુદ્દાઓમાં રસ ધરાવતા હતા. તેમણે બેરોજગાર યુવાનો માટે રોજગારનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પાટીદાર અનામત આંદોલનથી રાજકારણમાં પ્રવેશ
2015માં પાટીદાર અનામત આંદોલનમાં ગોપાલ ઈટાલિયાનું નામ પ્રખ્યાત બન્યું. તેઓ પાટીદાર યુવાનોમાં મજબૂત અવાજ બની ઉભરી આવ્યા. આ સમયે તેમણે સરકારી નોકરી છોડીને સામાજિક કાર્યમાં પૂરેપૂરો સમય આપવાનું શરૂ કર્યું.
સરકારી સેવા છોડીને AAPમાં જોડાયા
પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય રહી, 2018માં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા બન્યા. ત્યારબાદ રાજકારણમાં પ્રવેશનો નિર્ણય લઈ 2020માં આમ આદમી પાર્ટી (AAP)માં જોડાઈ ગયા. ગુજરાતમાં AAPના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેમણે પાટીદાર યુવાનો સહિત અનેક વર્ગોને જોડ્યા.
જૂતાની ઘટના અને સસ્પેન્શન
2017માં ગોપાલ ઈટાલિયાએ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી પર જૂતું ફેંકવાનું સાહસ કર્યું, જેના કારણે તેઓ સમગ્ર ગુજરાતમાં ચર્ચાના કેન્દ્ર બન્યા. પરિણામે તેમને સેવા નિયમોનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા.
પાટીદાર નેતાથી AAPના મુખ્ય ચહેરાની સફર
પાટીદાર સમુદાયમાં લોકપ્રિય બન્યા બાદ ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં મજબૂત પાયા નાખ્યો. 2021માં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા મહાનગરપાલિકા ચુંટણીઓમાં AAPએ 13.28% મત મેળવ્યા, જ્યારે 2022ની વિધાનસભાની ચુંટણીઓમાં પાર્ટીએ 5 સીટો જીતી હતી.
વિસાવદર પેટાચૂંટણી 2025માં ઐતિહાસિક વિજય
વિસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાએ 17,581 મતના તફાવતથી વિજય મેળવી AAPનું નામ ઉજાગર કર્યું. તેમણે ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષોને પછાડી દીધા. 21 રાઉન્ડમાં AAPએ 75,906 મત મેળવ્યાં, જ્યારે ભાજપે 58,325 મત તથા કોંગ્રેસે 5,491 મત મેળવ્યાં.
વિસાવદર પેટાચૂંટણી 2025એ ગુજરાતમાં ગોપાલ ઈટાલિયાનું રાજકીય સ્થાન પાક્કું કર્યું છે. સામાન્ય પોલીસ કર્મચારીથી પાટીદાર અનામત આંદોલનના નેતા સુધીનો તેમનો પ્રવાસ અને વિસાવદરમાં પ્રાપ્ત થયેલો વિજય ગુજરાતમાં AAP માટે નવા યુગનો આરંભ સાબિત થશે.