સોમવારે સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા મુજબ પ્રતિ લાખની વસતી પર કોરોના સંક્રમણના કેસો દુનિયાની સરખામણીએ ભારતમાં સૌથી ઓછા છે અને સક્રિય કેસો તથા રિકવરી રેટ પણ સતત સુધરી રહ્યો છે.
કેન્દ્ર સ્વાસ્થ મંત્રાલયે આ માટે વિશ્વ સ્વાસ્થ સંગઠનની રવિવારની રિપોર્ટનો હવાલો આપતા કહ્યુ કે, ભારતમાં પ્રતિ લાખની વસતી પર 30.04 કેસ છે જ્યારે વૈશ્વિક સરેરાશ આ પ્રમાણ 114.67 કેસનુ છે. રિપોર્ટ મુજબ અમેરિકામાં પ્રતિ લાખ 671.24 કેસ છે જ્યાર જર્મનીમાં 583.88, સ્પેનમાં 526.22 અને બ્રાઝિલમાં 489.42 કેસ છે.
બીજી એક વાસ્તવિકતા એ પણ છે કે ભારત અનલોક થયા પછી પ્રતિ દિવસ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો નોંધાયો છે. સામેવારે દેશવ્યાપી કુલ કેસોનો આંકડો 4,25,282 એ પહોંચ્યો હતો, વિતેલા 24 કલાકમાં સૌથી વધુ 14,281 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે 445 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યાર સુધી 13,699 લોકો કોરોના સંક્રમણમાં દમ તોડી ચૂક્યા છે.