ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પાર્ટીઓ તરફથી પુરજોશમાં શરૂ થઈ ગઈ છે, તેવા માહોલમાં ‘ સત્ય ડે’ ન્યૂઝ પરથી દરરોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓની વિધાનસભા બેઠકો વિશેની સચોટ અને વિસ્તૃત માહિતી મેળવીશું.
(53) મણિનગર વિધાનસભા બેઠક
મણિનગર વિધાનસભા બેઠકના વિસ્તારની વાત કરીએ તો આ બેઠક મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનનાં લાંભાથી શરૂ થઈને છેક CTM મિલ સુધીના વિસ્તારને આવરી લે છે.
ભૌગોલિક પરિસ્થતિ પ્રમાણે આ વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે, મણીનગર રેલ્વે સ્ટેશનથી પુર્વમાં તેમ જ પશ્ચિમમાં એમ બે ભાગ રેલ્વે માર્ગને કારણે અલગ પડે છે.
કાંકરિયા તળાવ મણીનગર વિસ્તારમાં આવેલું છે.
મણિનગર બેઠકનો રાજકીય ઇતિહાસ
આ બેઠક પર વર્ષ 1985 થી ભાજપનો દબદબો રહ્યો છે,
વર્ષ 2002 થી લઈને 2014 સુધી આ બેઠક પર દેશના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યાં હાલમાં ભાજપના ધારાસભ્ય સુરેશ પટેલ છે. જે વર્ષ 2015 માં યોજાયેલી પેટાચૂંટણીથી લઈને આજ સુધી પદ પર છે.
વર્ષ 2012ની ચૂંટણીમાં અહીથી સસ્પેન્ડેડ IPS ઓફિસર સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ ચુંટણી મેદાને ઊભા રહેલાં,
ગત્ 2017ની વિધાનસભા ચુંટણીમાં BJPના ધારાસભ્ય સુરેશ પટેલ વિરુદ્ધ શ્વેતા બ્રમ્હભટ્ટને કોંગ્રેસે ટિકિટ આપી હતી, જેમાંં ભાજપના સુરેશ પટેલે જીત નોંધાવી હતી.
આ બેઠક પર જ્ઞાતિઓનું ગણિત
મણિનગર વિધાનસભા બેઠક જ્યારથી અસ્તિત્વમાં છે ત્યારથી અહીંયા પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે.
આ બેઠક પર અન્ય બેઠકોની સરખામણીમાં જ્ઞાતિગત સમીકરણો કરતા વધુ પાર્ટી વિચારધારા અને સંગઠન પ્રમાણેનું મતદાન થતુંં આવ્યું છે.
શું છે આ વિસ્તારની સમસ્યાઓ / પ્રશ્નો
આ બેઠક વર્ષોથી રાજ્યની VIP બેઠક રહી છે, વર્ષ 2002માં નરેન્દ્ર મોદી ધારાસભ્ય ચુંટાઈ આવેલા ત્યારથી અહી રોડ, રસ્તા, સૌંદર્યકરણ જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, તેમ છતાં અહી ગેરકાયદે બાંધકામો, માર્જિનના નિયમના ઉલ્લંઘન, ફૂટપાથ પર દબાણોની સમસ્યા, અમુક ભાગોમાં ચોમાસામાં પાણી ભરાવવા જેવી કાયમી સમસ્યાઓ રહી છે.
આ બેઠક પરની હાલની રાજકીય પરિસ્થિતિ
જ્યારથી નરેન્દ્ર મોદીએ આ બેઠક છોડી છે ત્યારથી દાવેદારોને લઈને ભાજપ માટે આ બેઠક માથાનો દુખાવા સમાન બની રહી છે, ગત્ 2017 ની ચુંટણીમાં તો અહીથી 16 જેટલા ઉમેદવારોએ ટિકિટ માગી હતી.
અત્યારે હાલના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ છે, ત્યારબાદ અન્ય નેતાઓમાં યુવા નેતા પૌરસ પટેલ, પૂર્વ મેયર અસિત વોરા સહિતના અનેક દાવેદારો ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી શકે છે.
જ્યારે સામે કોંગ્રેસ માટે આગામી સમયમાં આ બેઠકમાં વધુ નિરાશાજનક રહે તેવી શક્યતાઓ છે, ગત્ 2017નું ચુંટણીમાં કોંગ્રેસમાંથી શ્વેતા બ્રહ્મભટ્ટ મેદાને હતાં, જે સુરેશ પટેલ સામે હારેલા.
થોડા દિવસો પહેલા આ જ શ્વેતા બ્રહ્મભટ્ટએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરેલી, જેથી પરથી એવા પણ કયાસ લગાવાય છે કે શ્વેતા બ્રહ્મભટ્ટ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવશે અને આ સીટ પરથી ચુંટણી મેદાને ઉતરશે.
© SatyaDay Daily