ગુજરાતમાં આગામી પાંચ મહિનાઓમાં જ વિધાનસભાની ચુંટણીઓ યોજાશે, ત્યારે દરેક રાજનૈતિક પાર્ટીઓ પોતપોતાની તૈયારીઓના ભાગરૂપે રણનીતિ તૈયાર કરી રહી છે.
ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી દરેક પાર્ટી ચુંટણી સમયે પોતાના કાર્યકર્તાઓના જોરે મેદાનમાં ઉતરતી હોય છે, પણ આ ઉપરાંત આ દરેક પાર્ટીઓ રાજકારણને લાગતું કામ કરતી ખાનગી કંપનીઓની સલાહ અને કામગીરી ઉપર પોતાની રણનીતિ નિર્ધારિત કરતી હોય છે.
હાલમાં સાંભળવા મળતા સમાચારો મુજબ ખાસ કરીને ભાજપ દ્વારા એક ખાનગી સર્વે કંપની દ્વારા પોતાના ધારાસભ્યો ઉપર તેમના વિસ્તારોમાં સર્વે કરાવી રહી છે, જેના આધારે ભાજપ આગામી ચુંટણીમાં તેમને ટિકિટ આપવી કે કેમ તે અંગેનો નિર્ણય લેશે.
ત્યારે કોઈપણ પક્ષ આવી ખાનગી રાજનૈતિક કંપનીઓને સાથે રાખીને ચૂંટણી લડે તો તે ખૂબ મોટું પરિબળ સાબિત થતું હોય છે.
ચુંટણી સમયે જે તે વિસ્તારોમાં જ્ઞાતિઓનું ગણિત, સ્થાનિક મુદ્દાઓ, નેતાઓની લોકોમાં છાપ, ધાર્મિક અને અન્ય સામાજિક મુદ્દાઓ, આ ઉપરાંત ચુંટણી સમયે નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખી જનતાની નસ પકડીને નેતાઓને વિજય તરફ લઈ જવાના પ્રયાસો આવી એજન્સીઓ કરતી હોય છે.
વર્ષ 2014માં લોકસભાની ચુંટણીઓ વખતે ભાજપ દ્વારા અને ખાસ કરીને નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રમાણે ઐતિહાસિક પ્રચાર કરાયો હતો, તે સમગ્ર પ્રચારનો આઈડિયા એક ખાનગી એજન્સી કરી રહી હતી.
પોલિટિકલ એજન્સીઓમાં રાજનીતિની નાનામાં નાની જાણકારી ધરાવતા લોકો હોય છે, જે સામાજિક સમીકરણોના દરેક પરિબળોને ખુબ સારી રીતે સમજતા હોય છે,
કોઈ પાર્ટી કે નેતા માટે ચુંટણી પ્રચાર કઈ રીતે કરવો, મોટી મોટી સભાઓથી લઈને ઘરે ઘર નેતાના સંદેશને પહોંચાડવાનું કામ કરાતું હોય છે.