ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, રાજ્યની મુખ્ય બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસને લઈને રોજરોજ નવા સમાચારો વહેતા થયા કરે છે.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાત કોંગ્રેસનું માળખું ડૂબતું નજરે પડે છે, જેને કિનારા સુધી પહોંચાડવા કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.
રાજ્યની વિધાનસભાની ચુંટણીનો ધ્યાને લઇને કોંગ્રેસે દિલ્હી લેવલે પ્રશાંત કિશોર અને ગુજરાત લેવલે નરેશ પટેલ માટે લાલ જાજમ પાથરવાની તૈયારી કરેલી, જેમાં એક ફટકો પ્રશાંત કિશોરે આપી દીધો છે.
પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે પાર્ટી બહાર રહીને કામ કરશે, પણ પાર્ટીમાં જોડાશે નહીં, તેવી સ્પષ્ટતા કરી દીધી છે, જ્યારે અહીંયા પ્રશાંત કિશોરના ફેંસલા ઉપર આધાર રાખતા હોય એમ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાવાને લઈને હવે અવઢવમાં હોય તેવી સ્થિતિમાં દેખાઈ રહ્યા છે.
કોણ છે પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોર મુખ્ય રીતે દેશની અલગ અલગ પાર્ટીઓ માટે ચુંટણી સમયે રણનીતિ તૈયાર કરે છે, અને જે તે પાર્ટીઓને જીત સુધી લઈ જાય છે.
દેશમાં સૌથી મોટા રાજનીતિક રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોર છેલ્લા એક દશકથી ખૂબ ચર્ચિત રહ્યા છે.
વર્ષ 2012 ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં નરેન્દ્ર મોદીના ચુંટણી સલાહકારથી લઈને 2015ની લોકસભા ચૂંટણી સુધી તેઓ નરેન્દ્ર મોદીના સૌથી વધુ નજીક રહીને કામ કરી ચૂક્યા છે.
2012 માં ગુજરાતમાં તેમની જ સલાહના ભાગ રૂપે ભાજપ ચુંટણી લડી હતી, પરિણામે નરેન્દ્ર મોદી જીત હાંસલ કરીને ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતાં.
પ્રશાંત કિશોર કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નથી, પણ દેશની અનેક પાર્ટીઓ સાથે કામ કરીને તેઓએ જીત અપાવી છે,
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી TMC હોય કે પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટી, કે પછી કર્ણાટકમાં જગનમોહન રેડ્ડી, ઉપરાંત પંજાબમાં કેપ્ટન અમરિંદરસિંઘ સાથે પણ તેઓ ચુંટણીની રણનીતિમાં કામ કરી ચૂક્યા છે.
પ્રશાંત કિશોરે 2012 થી નરેન્દ્ર મોદીની સાથે કામ શરૂ કરવાથી લઈને અત્યાર સુધી વિવિધ રાજ્યોમાં આઠ ચુંટણીઓમાં રાજનૈતિક રણનીતિકાર રહ્યા છે, જેમાંથી સાત ચુંટણીઓ તેઓ જીતાડી ચૂક્યા છે.
ભાજપની અંદર રહીને તેમણે ગુજરાતમાં કામ કર્યું હોવાના કારણે ભાજપના દરેક રાજનૈતિક કાવાદાવાઓથી પણ તેઓ પૂરા જાણકાર છે.
માટે જ કોંગ્રેસ તેમને ચુંટણી રણનીતિકાર તરીકે જ નહિ પણ પાર્ટીમાં શામેલ થઈને કામ કરે તેવી ઑફર કરી હતી, જેના પર હવે પૂર્ણવિરામ લાગી ચૂક્યો છે.
અને હવે નરેશ પટેલ અવઢવમાં
છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસની જે સ્થિતિ છે તે જોતાં નરેશ પટેલને કોંગ્રેસના નેતૃત્વ કરતાં વધારે પ્રશાંત કિશોર પર ભરોસો હોય તેવું દેખાય છે, અને એટલે જ કોંગ્રેસમાં જોડાવાની ઇચ્છા હોય તો પણ પોતાની વ્યક્તિગત મહત્વાકાંક્ષા પૂરી કરવાના અભરખે નરેશ પટેલ છેલ્લા બે ત્રણ દિવસથી નિરાશાજનક ભાવમાં હોય તેવું વર્તાય છે.
આ ઉપરાંત તેમના જ નજીક માનતા સાથીદારો અને ટેકેદારો પણ હવે તેમની અવગણના કરીને મીડિયા સમક્ષ નરેશ પટેલ બાબતે સ્પષ્ટતા આપી રહ્યા છે.
બીજી બાજુ નરેશ પટેલ સર્વેના આધારે રાજકારણમાં જોડાશે કે કેમ તેવું કહી રહ્યાં છે.
પણ હવે કોંગ્રેસ અને પ્રશાંત કિશોરને લઈને જે નવી બાબતો સામે આવી રહી છે તે જોતાં નરેશ પટેલ પોતાનો રાજકીય દાવ શરૂ કર્યા પહેલા જ જાતે પૂરો કરી દે તો નવાઈ નહીં હોય.
આવા વાતાવરણમાં કોંગ્રેસ પાર્ટી અત્યારે જે પરિસ્થિતિથી પસાર થઈ રહી છે, અને માંડ માંડ એક બે આશાઓ બાંધણી હતી તે પણ પૂરી ના થાય… ત્યારે… હોઠે આવેલો લાડુ પાછો ખેંચાઇ જાય… તેવી સ્થિતિમાં મુકાય તેવી શક્યતાઓ છે.