દાહોદઃ કોરોનાનો કહેર એટલો બધો વધી ગયો છે કે લોકો નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે. કોરોનાના ડરથી કોરોના દર્દીઓ આત્મહત્યા કરી રહ્યા હોવાની અનેક ઘટનાઓ બની છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના એક યુવકે પણ કોરોનાના ડરના કારણે આત્મહત્યા કરી લીધી હતી. યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો હતો.
દાહોદના દેવગઢબારીયાના યુવાને કોરોના પોઝિટિવ થવાના ડરે બે દિવસ અગાઉ તળાવમાં કૂદીને આપઘાત કરી લીધો હતો.ફાયર વિભાગને ઘટનાની જાણ થતા ફાયર વિભાગે મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરી હતી. બે દિવસની શોધખોળ બાદ આજે યુવાનનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. યુવાને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 14,120 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 174 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 8,595 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,98,824 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 174 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 6830 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 421 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે.