હેલ્થ ડેસ્કઃ દહીંમા અનેક પોષકતત્વો હોવાના કારણે તેને સુપર ફૂડની શ્રેણીમાં રાખવામાં આવે છે. દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જેના પરિણામે શરીરના હાડકા મજબૂત રહે છે. આ ઉપરાંત વિટામિન બી2, વિટામીન બી12, મેગ્નેશિયમ પોટેશિયમ અને પ્રોટીનનું પ્રમાણ પણ ખૂબ જ વધુ હોય છે. દહીં રોજ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે, જેની સાથે દહીં ખાવાથી દહીં હાનિકારક બની જાય છે. જો સ્વાદ માટે તમે આ દહીંમાં પ્રકારનું મિશ્રણ કરતા હોય તો સમજી જાવ કે તમારા શરીરમાં ઝેરી પદાર્થો ઠલવાઈ રહ્યા છે. આ ઝેરી પદાર્થ તમારી રોગપ્રતિકારક શક્તિને ખૂબ જ ઝડપથી ઓછી કરી નાખે છે. જેથી કઈ કઈ વસ્તુઓને દહીં સાથે ન ખાવી જોઈએ તે જાણી લો..
દહીં સાથે ડુંગળી
ઉનાળામાં ઘણી વખત લોકો રાયતું બનાવે છે. જેમાં દહીં સાથે ડુંગળી ભેળવે છે. આવું કરવાથી સ્વાદ સારો આવશે પણ તબિયતને ખૂબ નુકસાન થઈ શકે. આયુર્વેદના મત મુજબ દહીંની તાસીર ઠંડી હોય છે, જ્યારે ડુંગળીની તાસીર ગરમ હોય છે. જેથી બંનેનો સાથે પ્રયોગ કરવાથી તમને એલર્જી થઈ શકે. શરીર પર ચકામા, એક્સીમા, સોરાયસીસ, ગેસ એસીડીટી અને ઉલ્ટી સહિતની સમસ્યા ઉદભવી શકે.
દહીં સાથે દૂધ
દહીં દૂધમાંથી જ બને છે. પરંતુ આયુર્વેદમાં આ બંનેને સાથે ખાવાની મનાઈ છે. દૂધ અને દહીં એકસાથે ખાવાથી ઝાડા, પેટમાં દુઃખાવો, ઈનડાયજેશન જેવી સમસ્યા થઈ શકે.
દહીં સાથે કેરી
આમ તો આપણે બધા ઉનાળા દરમિયાન લસ્સી પીવાનું પસંદ કરીએ છીએ. પરંતુ આપના સ્વાસ્થ્ય માટે આ નુકસાનકારક છે. કેરી અને દહીંની તાસીર એકબીજાથી ઊંઘી જ છે. જેથી જો આ બંનેને ભેળવીને ખાવ તો ચામડી સંબંધિત બીમારી થઈ શકે. એટલું જ નહીં, શરીરમાં ઝેર પણ વધે છે. જે આપણી પાચનક્રિયા પર અસર કરે છે.
દહીં સાથે માછલી
પ્રોટીન યુક્ત બે પદાર્થોને એક સાથે ન ખાવા જોઈએ. આવી સ્થિતિમાં જો તમે માછલી સાથે દહીંનું સેવન કરો તો તેના પરિણામે અનેક બીમારી થઈ શકે છે. બંને સાથે ખાવાથી અપચો, પેટમાં દુઃખાવો જેવી સમસ્યાઓ થઈ શકે.
દહીં અને અડદની દાળ
દહીં સાથે જો આપણે અડદની દળ ખાઈએ તો એસીડીટી, પેટમાં સોજો, ઝાડા સહિતની સમસ્યાઓ સામે આવી શકે. જેથી બંનેનું સેવન એક સાથે ન કરવું જોઈએ.