પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપી સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને દિશાનિર્દેશ
ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ ખાતે આવેલા જિલ્લા સેવા સદનના વી.સી. હોલમાં ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. રાજ્ય સરકારના આ અભિગમ દ્વારા છેવાડાના માનવીના પ્રશ્નોનો વહીવટી સ્તરે ઝડપી અને પારદર્શક નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દબાણ અને કૃષિ સહાય સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત
સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ પોતાના વ્યક્તિગત અને સામૂહિક પ્રશ્નો અધિક કલેક્ટર સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં મુખ્યત્વે જાહેર રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવા, છેતરપિંડીના કિસ્સાઓ, કૃષિ રાહત પેકેજ અંતર્ગત મળવાપાત્ર સહાય, ખેતર વચ્ચે રસ્તો બનાવવા અને માર્ગમાં નડતરરૂપ અવરોધો દૂર કરવા જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. અધિક કલેક્ટરે દરેક રજૂઆતને ગંભીરતાથી નોંધીને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.
અધિકારીઓને સમયમર્યાદામાં પ્રશ્નોના ઉકેલ માટે અપાયા આદેશો
નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હતી કે પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય આપીને સમયમર્યાદામાં તેનો નિકાલ લાવવો. ખાસ કરીને બહોળા જનસમૂહને સ્પર્શતી સમસ્યાઓ માટે તાત્કાલિક ઉકેલ લાવવા દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉના પ્રાંત અધિકારી કે.આર. પરમાર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અજય શામળા સહિત આરોગ્ય, જેટકો અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
