મુંબઇઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી છે અને જાન-માલનુ નુકસાન થઇ રહ્યુ છે. આ વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એ આશ્ચર્ય વચ્ચે ભારત ઉંચો આર્થિક વિકાસદર હાંસલ કરશે તેવી આગાહી કરી છે. વર્ષ ૨૦૨૧માં ભારતનો આર્થિક વિકાસ ૧૨.૫ ટકા રહેશે તેવો અંદાજ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ)એ વ્યકત કર્યો છો. આઇએમએફના જણાવ્યા અનુસાર ૨૦૨૧માં ભારતનો જીડીપી ચીન કરતા પણ વધારે રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાગ્રસ્ત વર્ષ ૨૦૨૦માં ફક્ત ચીનનો જીડીપી પોઝિટિવ રહ્યો છે.
વોશિંગ્ટન સ્થિત વૈશ્વિક નાણાકીય સંસ્થાએ પોતાના વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં ભારતનો જીડીપી ૧૨.૫ ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ અહેવાલ મુજબ ૨૦૨૨માં ભારતનો જીડીપી ૬.૯ ટકા રહેવાનો અંદાજ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં ભારતના અર્થતંત્રમાં વિક્રમજનક આઠ ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે ૨૦૨૧માં ભારતનો જીડીપી જોરદાર ઉછળીને ૧૨.૫ ટકા રહેવાની શક્યતા છે તેમ આઇએમએફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ ૨૦૨૦માં ચીનનો જીડીપી ૨.૨ ટકા રહ્યો છ. ચીન એક માત્ર વિશ્વનું અગ્રણી અર્થતંત્ર છે જેનો જીડીપી પોઝિટિવ રહ્યો છે. આઇએમએફના જણાવ્યા અનુસાર ૨૦૨૧માં ચીનનો જીડીપી ૬ ટકા અને ૨૦૨૨માં ૫.૬ ટકા રહેવાની શક્યતા છે.
આઇએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે અમારા અગાઉના અંદાજ કરતા વૈશ્વિક અર્થતંત્ર ૨૦૨૧ અને ૨૦૨૨માં વધુ સારી રીતે વિકાસ કરશે. વૈશ્વિક અર્થતંત્ર ૨૦૨૧માં ૬ ટકા અને ૨૦૨૨માં ૪.૪ ટકાના દરે વિકાસ કરશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૦માં વૈશ્વિક અર્થતંત્રમાં ૩.૩ ટકાનો ઘટાડો થયો હતો. જો કે ગીતાએ વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક અને વિવિધ દેશોના અર્થતંત્ર સામે કોરોના મહામારી સહિતના પડકારો રહેલા છે. અર્થતંત્રના વિકાસનો આધાર આર્થિક પ્રવૃત્તિઓની રિકવરી પર રહેશે. આઇએમએફના અંદાજ મુજબ વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ ૨૦૨૦માં માઇનસ ૩.૩ ટકા, ૨૦૨૧માં ૬ ટકા અને ૨૦૨૨માં ૪.૪ ટકા રહેશે.