ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના ઘાટિયા રોડ પર સિટી સ્ટેશનની સામે આજે ગુરુવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે.
અહીં એકજૂની ધર્મશાળાના ખોદકામ દરમિયાન પાંચ મકાનો અને આસપાસમાં એક મંદિર ધરાશાયી થયું હતું.
એક ઘરમાં રહેતા પિતા, પુત્રી અને પુત્ર સહિત પાંચ લોકો દટાયા હતા.
ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો. માહિતી મળતા પોલીસ પહોંચી હતી. લગભગ એક કલાકની કવાયત બાદ પોલીસે તમામને બહાર કાઢ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક બાળકીની હાલત ગંભીર છે.
હરિ પર્વત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર અરવિંદ કુમારે જણાવ્યું કે અકસ્માત સવારે 7.30 વાગ્યે થયો હતો.
જૂની ધર્મશાળામાં ઘણા દિવસોથી ખોદકામ ચાલતું હતું અને આસપાસના મકાનોમાં તિરાડો પડી ગઈ હતી અને સવારે મકાનો ધરાશાયી થઈ ગયા.
હાલ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે.
હજુ સુધી કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી.
અકસ્માત બાદ વહીવટીતંત્ર દ્વારા બાળકી સહિત 3 લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાસ્થળે હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ પ્રશાસન સ્થળ પર હાજર છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લઈ અધિકારીઓને સૂચના આપી છે,બચાવ કાર્યને ઝડપી બનાવવા માટે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સવારે સાડા સાત વાગ્યે થયો હતો. સ્થાનિક લોકોએ ધર્મશાળા ટ્રસ્ટ પર દુર્ઘટનાને લઈને બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે વિરોધ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.
ભોંયરામાં ખોદકામ ચાલી રહ્યું હોવાને કારણે આ અકસ્માત થયો છે.