વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે કર્ણાટકના પ્રવાસે છે,તેમણે આજે રાજ્યના બાંદીપુર અને મુદુમલાલ ટાઈગર રિઝર્વની મુલાકાત લીધી હતી. પીએમ મોદીજીએ પ્રોજેક્ટ ટાઈગરની વર્ષગાંઠ પર કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું, જે અહીં વાઘને બચાવવા માટે 50 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આ સાથે તેમણે આજે દેશમાં વાઘની વસ્તીના આંકડા પણ જાહેર કર્યા.
પીએમ મોદી મૈસૂર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રોજેક્ટ ટાઈગરના પચાસ વર્ષ પૂરા થવા પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે, પ્રકાશન અમૃત કાલનું વાઘ સંરક્ષણ માટેનું વિઝન અને સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો હતો.
તેમણે બાંદીપુર ટાઈગર રિઝર્વની અંદર વીસ કિલોમીટરની સફારી શરૂ કરી હતી, આ ટાઈગર રિઝર્વની મુલાકાત લેનારા પ્રથમ વડાપ્રધાન હતા. બાંદીપુર ટાઈગર રિઝર્વ એ ભારતના ટોચના વાઘ અનામતોમાંનું એક છે.
મોદીએ સંરક્ષણ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ફ્રન્ટલાઈન ફિલ્ડ સ્ટાફ અને સ્વ-સહાય જૂથો સાથે વાતચીત કરી હતી અને વન્યજીવ અભયારણ્યમાં સફારી કરી હતી.
જોકે,પીએમ રાત્રે જ કર્ણાટક પહોંચ્યા હતા. મોદીનું હેલિકોપ્ટર સવારે મેલુકમનાહલ્લીમાં બાંદીપુર ટાઈગર રિઝર્વના કિનારે લેન્ડ થયું હતું. ત્યાંથી તેણે સફારી શરૂ કરી હતી.
વડાપ્રધાને બાંદીપુર ટાઈગર રિઝર્વનો નજારો માણ્યો હતો. આ સાથે તેઓએ ટ્વીટમાં કહ્યું કે, “આજે સવારે સુંદર બાંદીપુર ટાઈગર રિઝર્વમાં વિતાવી અને વન્ય જીવન, પ્રાકૃતિક સૌંદર્ય અને વિવિધતાનો આનંદ માણ્યો.”