પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોની બે દિવસીય ભારત મુલાકાત સમયે જ કાશ્મીરમાં રાજૌરી અને બારામુલ્લામાં આતંકીઓએ એકસાથે હુમલા કર્યા છે અને જેમાં ભારતના પાંચ જવાન શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના કાંડી વિસ્તારમાં સવારે 7.30 વાગ્યાથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો છે, જ્યારે અન્ય એક આતંકવાદી ઇજાગ્રસ્ત થયો છે.
આતંકીઓએ એક બ્લાસ્ટ કરતાં સેનાના 5 જવાન શહીદ થયા હતા.
શહીદ થયેલા જવાનોમાં લાન્સ નાઈક રુચિન સિંહ, નાઈક અરવિંદ કુમાર, હવાલદાર નીલમ સિંહ અને પેરાટ્રૂપર સિદ્ધાંત ચેત્રી, પ્રમોદ નેગીનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં છુપાયેલા આતંકવાદીઓએ મોડી રાત્રે 1.15 વાગ્યે ફાયરિંગ શરૂ કર્યું હતું, જે હજુ પણ ચાલુ છે. આ માહિતી જમ્મુમાં સેનાના PROએ આપી હતી.
ગતરોજ શુક્રવારે સવારે 7.30 વાગ્યાથી સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણ હજુ પણ ચાલુ છે.
બીજી તરફ, બારામુલ્લાના કરહમા કુંજરમાં સવારે 4 વાગ્યાથી પોલીસ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, જેમાં જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. જોકે સર્ચ-ઓપરેશન હજુ ચાલુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એ જ આતંકવાદીઓ છે જે, પૂંછમાં આર્મી ટ્રક પર હુમલામાં સામેલ હતા. સેનાએ તેમને ઘેરી લીધા છે.