નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો હોય તેવા સંકત મળી રહ્યા છે. કારણ 26 દિવસ બાદ દેશમાં પહેલીવાર દૈનિક 3 લાખથી ઓછા નવા કોરોના કેસ નોંધાયા છે. જો કે સાવધાની રાખવાની હજી જરૂર છે.
ભારતમાં ગત રવિવારે છેલ્લા 24 કલાકમાં 2 લાખ 81 હજાર 683 લોકોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી હતી. જે છેલ્લા 26 દિવસમાં આ પહેલી ઘટના છે જ્યારે એક દિવસમાં 3 લાખથી ઓછા નવા કેસ નોંધાયા છે. આ અગાઉ 20 એપ્રિલના રોજ કોરોનાના 2.94 લાખ નવા કેસ નોંધાયા હતા.
જોકે કોરોનાને કારણે થયેલાં મોતની ગતિ ધીમી પડવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે 4,092 લોકો મૃત્યુ પામ્યા હતા. રાહતની વાત એ છે કે આ દરમિયાન 3 લાખ 78 હજાર 388 લોકો સાજા થયા હતા. આ એક દિવસમાં સાજા થનારા લોકોની આ બીજી સૌથી વધુ સંખ્યા છે. આ અગાઉ 8 મેના રોજ કોરોનાથી 3.86 લાખ લોકો સ્વસ્થ થયા હતા.
આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર હેઠળના લોકોની સંખ્યામાં એક લાખ 846નો ઘટાડો થયો છે. દેશમાં મહામારી શરૂ થયા પછી એક્ટિવ કેસોમાં આ સૌથી મોટો ઘટાડો છે. હાલ દેશમાં 35 લાખ 12 હજાર 660 કોરોના સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે.
દેશમાં કોરોના મહામારીના આંકડા
- છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 2.81 લાખ
- છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 4,092
- છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.78 લાખ
- અત્યારસુધીમાં કુલ કેસ: 2.49 કરોડ
- અત્યારસુધી સાજા થયા: 2.11 કરોડ
- અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 2.74 લાખ
- હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 35.12 લાખ
દેશનાં 19 રાજ્યમાં કોરોના મહામારીના પગલે સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. આમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં પહેલાંના લોકડાઉન જેવા કડક પ્રતિબંધો છે.
તો દેશમાં 13 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.