ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે આજે અધધ 3500થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના આંકડા પણ ચોંકાવનારા આવ્યા છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3575 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 22 લોકોનું મૃત્યુ નિપજ્યું છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4620એ પહોંચ્યું છે. જ્યારે રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજ રોજ છેલ્લા 24 કલાકમાં 2217 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે જ અત્યાર સુધી 3,05,149 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.90 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 71,86,613 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનુ અને 8,74,677 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચૂક્યું છે. આમ કુલ 80,61,290 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 1,48,111 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 20,656 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી..
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. 3,51,149 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4620 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 22 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત2, બનાસકાંઠા 1, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા કોર્પોરેશન 1 આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલાં 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી પરંતુ તેના તમામ બેડ ફૂલ થવાની તૈયારીમાં છે. આથી હવે ફુલ કેપેસિટી સાથે હોસ્પિટલ ચાલુ કરાશે. સિવિલ હોસ્પિટલમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જે બાદ મહિલા અને બાળકોના વિભાગનો સામાન જૂની બિલ્ડિંગમાં ફેરવવામાં આવ્યો છે.