કોરોના વાયરસને પગલે મોટાભાગના ધંધા-ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડયો છે અને હજુ પણ મંદીની મારમાંથી બેઠા થઇ શક્યા નથી. એપ્રિલ 2020થી ફેબ્રુઆરી 2021ના 10 મહિના દરમિયાન સમગ્ર દેશમાં 10,113 કંપનીઓ-ઔદ્યોગિક એકમો બંધ થયા છે. આ કંપનીઓએ સ્વૈચ્છાએ કામગીરી બંધ કરી દીધી છે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયના આંકડો મુજબ નાણાંકીય વર્ષ 2020 દરમિયાન દેશમાં કુલ 68,463 કંપનીઓ બંધ થઇ હતી.
સૌથી વધુ ક્યા રાજ્યમાં કંપનીઓ બંધ થઇ
ચાલુ નાણાંકીય વર્ષે દેશમાં અત્યાર સુધી 10,113 કંપનીઓ બંધ થઇ છે. જેમાં સૌથી વધુ દિલ્હીમાં 2394 એકમોને તાળા લાગ્યા છે.
કંપનીઓ બંધ થવાના મામલે ટોપ-10 રાજ્યો | |
રાજ્ય | કંપનીની સંખ્યા |
દિલ્હી | 2394 |
ઉત્તરપ્રદેશ | 1936 |
તમિલનાડુ | 1322 |
મહારાષ્ટ્ર | 1279 |
કર્ણાટક | 836 |
ચંડીગઢ | 501 |
રાજસ્થાન | 479 |
તેલંગાણા | 404 |
કેરળ | 307 |
ઝારખંડ | 137 |
ગુજરાતમાં કેટલી કંપનીઓ બંધ થઇ, કેટલાંક ઇન્ડસ્ટ્રીયલ શેડ ખાલી…
ગતિશિલ ગુજરાતમાં પણ મહામારી દરમિયાન ઘણા ઔદ્યોગિક એકમો બંધ થયા છે. માહિતી મુજબ ગુજરાતમાં જ ઔદ્યોગિક વસાહતોમાં ૮,૫૩૯ પ્લોટ-૪૯૦ શેડ ખાલી પડેલા છે જ્યારે ૨,૨૦૩ ઉદ્યોગો બંધ હાલતમાં છે. વિધાનસભામાં ગુજરાત સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ૮૫૩૯ પ્લોટ ખાલી પડયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨,૬૭૦-ભરૃચમાં ૧,૭૨૯-જામનગરમાં ૫૩૬-રાજકોટમાં ૩૫૭-પંચમહાલમાં ૩૪૯-પાટણમાં ૩૨૯-મહેસાણામાં ૩૦૨-દાહોદમાં ૨૭૩-સુરતમાં ૨૭૧ અને ગાંધીનગરમાં ૨૪૬ પ્લોટ ઔદ્યોગિક વસાહતોમાં ખાલી છે. બીજી તરફ ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા શેડની સંખ્યા ૪૯૦ છે. જેમાં મહેસાણામાં સૌથી વધુ ૧૩૬-રાજકોટમાં ૧૨૭-બનાસકાંઠામાં ૪૬-સુરેન્દ્રનગરમાં ૪૪નો સમાવેશ થાય છે. અમદાવાદના ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા પ્લોટની સંખ્યા ૪૦ છે.
ઔદ્યોગિક વસાહતોમાં બંધ પડેલા ઉદ્યોગોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને હાલમાં તેનો આંક ૨,૨૦૩ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૨૯, સુરતમાં ૧૮૦, ભરૃચમાં ૧૭૮, કચ્છમાં ૧૬૬, ભાવનગરમાં ૧૫૮, રાજકોટમાં ૧૫૪, વડોદરામાં ૧૪૦, ગાંધીનગરમાં ૧૨૫, પોરબંદરમાં ૧૧૦નો સમાવેશ થાય છે.કોંગ્રેસના આક્ષેપ અનુસાર રાજ્ય સરકારની નાના અને મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિઓને કારણે જીઆઇડીસીઓમાં આવેલા પ્લોટ-શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને રસ નથી.